Western Times News

Gujarati News

દાદર ધરાશાયી થવાથી બે મહિલાઓનાં મોતથી અરેરાટી

સોજિત્રાના દેવા તળપદ ગામે આ બનાવ અંગે સોજિત્રા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આણંદ, આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના દેવા તળપદ ગામના લક્ષ્મીપુરા વિસ્તારમાં બુધવારે બનેલી ઘટનામાં એક ઘરની બહાર બનાવેલ સિમેન્ટનો દાદર જે એકાએક જ તૂટી પડ્યો હતો અને આ ઘટનામાં દબાઈ જવાથી બે મહિલાઓના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે સોજિત્રા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.સોજિત્રા તાલુકાના દેવા તળપદ ગામના લક્ષ્મીપુરામાં રહેતા ભરતભાઈ મેલાભાઈ ગોહેલના પત્ની ૪૦ વર્ષીય મંજુલાબેન ભરતભાઈ ગોહેલ અને તેમના ઘરની પડોશમાં રહેતા ૫૫ વર્ષીય ગીતાબેન પ્રભાતભાઈ ગોહેલ બંન્ને મહિલાઓ બુધવારે બપોર બાદના અરસામાં પોતાનાં ઘર પાસે બાનવેલા સિમેન્ટના દાદર નીચે બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે વરસાદ પડવાના કારણે કે પછી અન્ય કોઈ કારણોસર અચાનક જ સિમેન્ટનો બનાવેલો દાદર તૂટી પડ્યો હતો.

જેથી આરસીસી દાદરનાં કાટમાળ નીચે બન્ને મહિલાઓ મંજુલાબેન ગોહેલ અને ગીતાબેન ગોહેલ દબાઈ જવા પામ્યા હતા. બીજી તરફ દાદર ધરાશાયી થવાનો અવાજ સાંભળીને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દાદરનો આરસીસીનો કાટમાળ ખસેડીને કાટમાળ નીચે દબાયેલ બન્ને મહિલાઓ મંજુલાબેન તેમજ ગીતાબેનને બહાર કાઢ્યા હતા પરંતુ બન્ને મહિલાઓને ગંભીર ઈજાઓ થયેલી હોઈ બન્નેનાં ઘટનાસ્થળે જ મોત નિપજયાં હતા.

આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જ સોજિત્રાના તાલુકા વિકાસ અધિકારી જેનીબેન ગઢવી, તલાટી વિજયભાઈ, સોજિત્રા પોલીસ મથકના માણસો, ગામના અગ્રણીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસે બન્ને મહિલાઓનાં મૃતદેહોને પીએમ માટે મોકલી આપી અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.