Western Times News

Gujarati News

બહેન સુભદ્રાની ઇચ્છા પુરી કરવા ભગવાન જગન્નાથે દ્વારિકા નગરીમાં રથયાત્રા કાઢી હતી

file photo

નારદમુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારૂં આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યુ.

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. આ રથયાત્રામાં લાખો હરિભક્તો ભગવાનના દર્શનનો લાભ લે છે.ભગવાન જગન્નાથજી સાધુ નરસિંહદાસના સ્વપ્નમાં આવ્યા અને તે ઘટના પછી જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીની આગેવાનીમાં ઇ.સ.૧૮૭૮ની અષાઢી બીજથી શરૂ થયેલ છે.

અહીં ૧૪૭ વર્ષથી રથયાત્રા યોજાય છે,અહીં જમાલપુરમાં આવેલા ચારસો વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ચૌદ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે.આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં એટલે કે જેઠ માસની પૂનમના દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ યોજાય છે

આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે.આ યાત્રામાં ૧૮ થી ૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો માથે પિત્તળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે.સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.

રથયાત્રા સવારે સાત વાગ્યાની આસપાસ શરૂ થાય છે,એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી મંગલા આરતીમાં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપ “પહિંદ વિધી” કરે છે.રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે,જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળાં યાત્રિકો,શ્રદ્ધાળુઓને મહાભોજ (પ્રસાદીરૂપે ભોજન) કરાવાય છે.

સાંજે આઠ વાગ્યાની આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે.આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે ૧૮થી૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે.અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.

આ રથયાત્રાની શરૂઆતની કથા એવી છે કે એકવાર ભગવાન શ્રીકૃષ્ણ-બલરામનાં બહેન સુભદ્રાજી અષાઢ મહિનામાં પોતાના પિયર દ્વારીકા આવે છે ત્યારે તેઓ પોતાના ભાઇઓને નગર દર્શનની ઇચ્છા દર્શાવે છે.બહેનની ઇચ્છા પુરી કરવા ભગવાન શ્રીકૃષ્ણ(જગન્નાથ) અને બલરામ જુદા જુદા રથમાં બેસે છે અને બહેન સુભદ્રાજીનો રથ વચ્ચે રાખવામાં આવે છે અને દ્વારીકા નગરીમાં નગરચર્ચા માટે નીકળ્યા હતા તેની યાદગીરીરૂપે દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે.

રથયાત્રા તે ભગવાન જગન્નાથ-બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે,જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે.ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સાના જગન્નાથપુરી શહેરમાં આવેલું છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાનાં ભક્તો પાસે જાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ રોહિણી માતાને પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ન દેતા,પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી.

સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્‌યા અને આંખો મોટી થવા માંડી.

ત્યારે શ્રીકૃષ્ણ ભગવાનને મળવા નારદમુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદમુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારૂં આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યુ.

ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે,બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય છે.આ સિવાય સૂરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.

જગન્નાથ,સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચ મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે.

આ તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે.આ રથ ખુબ જ મોટાં પૈડાંવાળા સંપૂર્ણ કાષ્ટનાં બનેલા હોય છે.જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે.જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફીટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે.

પુરીનાં કલાકારો અને ચિત્રકારો આ રથનાં વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલપાંખડીઓ અને અન્ય આકૃત્તિઓ ચીતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે.રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળફૂલોની આકૃત્તિઓ ચિતરવામાં આવે છે.આ રથયાત્રાને “ગુંડીચ યાત્રા” પણ કહેવામાં આવે છે.

રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ “છેરા પહેરા”ની છે.જેમાં તહેવાર દરમિયાન, ગજપતિ રાજા (ગજપતિ રાજ્યનો રાજા) સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે,તે ઉપરાંત રથયાત્રાનાં આગમન પૂર્વે રાજા, અત્યંત ભક્તિભાવથી સોનાનાં હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ તે પર સુખડકાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાંટે છે.

રીવાજ પ્રમાણે ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યક્તિ ગણાય છે, તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા આશય એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઈ ભેદ હોતો નથી.

ચેર પહરની વિધિ બે દિવસ સુધી કરાય છે. રથયાત્રાના પ્રથમ દિવસે જ્યારે મૂર્તિઓને મૌસીમાં મંદિર (ફૂલઘર) તરફ લઈ જવાય છે ત્યારે અને પછી છેલ્લા દિવસે જ્યારે મૂર્તિઓને ફરી શ્રી મંદિર તરફ લઈ જવાય છે ત્યારે એક અન્ય વિધિ મૂર્તિઓને શ્રી મંદિરમાંથી રથ પર પધરાવવાની હોય છે જે “પહાંદી વિજય” કહેવાય છે.

રથયાત્રાના તહેવારમાં મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડિચા મંદિરે લઈ જવાય છે જ્યાં તે નવ દિવસ સુધી રહે છે,તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે એને “બહુડા યાત્રા” કહે છે.આ પરત વેળાની યાત્રામાં ત્રણે રથ મૌસીમા મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો “પોડા પીઠા” (જે બહુધા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સમો એક પ્રકારનો રોટલો હોય છે)નો પ્રસાદ લે છે.

જગન્નાથની આ રથયાત્રા છેક પુરાણકાલિન હોવાનું જણાય છે. બ્રહ્મપુરાણ,પદ્મપુરાણ અને સ્કંદપુરાણમાં આ રથયાત્રાનું આબેહુબ વર્ણન જોવા મળે છે. કપિલસંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે.મુઘલકાળ દરમિયાન પણ જયપુર રાજસ્થાનના રાજા રામસિંહે પણ ૧૮મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે.ઓડિશામાં મયુરભંજ અને પર્લાખેમુંડીના રાજાઓ પણ પુરીની જેમ જ રથયાત્રા યોજતા હતા.

ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લાં ચાલીસેક વર્ષથી રથયાત્રોનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય એ.સી.ભક્તિવેદાંત સ્વામીને જાય છે. જગનાથ પુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે.

આ રથોની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે,પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી,રથયાત્રાને દિવસે નાતજાતનાં ભેદભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે, અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ,કાકડી,કેરી અને જાંબુનો પંદરસો થી બે હજાર મણ પ્રસાદ વહેંચવામાં આવે છે, પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે. આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.