અમદાવાદના શહેરીજનોએ વરસાદી પાણી ભરાવવાની 31 હજાર કરતા વધુ ફરિયાદ કરી

File
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા એક તરફ વિકાસ ના દાવા કરવામાં આવી રહયા છે જયારે બીજી તરફ સામાન્ય વરસાદમાં પણ કથિત સ્માર્ટ સીટી ની સ્થિતિ દયનીય બની જાય છે. વરસાદની સિઝનમાં રોડ પર ખાડા પડવા કે ડ્રેનેજ લાઈન ચોકઅપ
થવાની સમસ્યા કાયમી બની ગઈ છે. માત્ર જૂન મહિનામાં જ ડ્રેનેજ ચોકઅપની 28 હજાર કરતા જયારે વરસાદી પાણી ભરાવવાનું 31 હજાર કરતા પણ વધુ ફરિયાદ નાગરિકો ઘ્વારા કરવામાં આવી છે તેવા તમામ આક્ષેપ કોંગ્રેસ પાર્ટીએ કર્યાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ નગરજનો દ્વારા માત્ર જુન-૨૦૨૫માં વરસાદી પાણીની સમસ્યાઓ બાબતે ૩૧૭૯૩ જેટલી ઓનલાઈન ફરિયાદો કરવામાં આવી છે. તેમાં ૨૮૬૪૨ જેટલી ફરિયાદો ડ્રેનેજલાઈન ચોકઅપ થવાની ફરિયાદો છે. તેમાં મુખ્યત્વે ઉત્તર ઝોનની ૬૭૧૦, મધ્ય ઝોનની ૬૧૮૦ પશ્ચિમ ઝોનની ૫૦૩૮ અને દક્ષિણ ઝોનની ૪૮૨૫ છે જેને કારણે પુરવાર થાય છે કે, અમદાવાદ શહેરની વિવિધ ડ્રેનેજ લાઈનો ચોમાસની સિઝન પહેલાં સાફ કરવા બાબતે પોકળ દાવા કરવામાં આવ્યા હતાં.
હાલમાં, મ્યુ.કોર્પોના વિવિધ ઝોનમાં ડી-સીલ્ટીંગ કરવા માટે ૪૯૮ સંસ્થાઓ કાર્યરત હોવા છતાં ડ્રેનેજ ચોકઅપ થઈ છે દરેક સંસ્થાઓને દર માસે અંદાજે ૫૦,૦૦૦ રૂા. જેટલી રકમ ચૂકવવામાં આવે છે તેમ છતાં પણ આવી પરિસ્થિતિ કેમ? તે તપાસનો વિષય બની જાય છે.
બીજી આશ્વર્યજનક બાબત તો એ છે કે, ડી-સીલ્ટીંગ માટેની સૈાથી વધુ સંસ્થાઓ ઉત્તર ઝોનમાં ૧૧૨ મધ્ય ઝોનમાં ૯૯ પશ્ચિમ ઝોનમાં ૧૦૭ અને દક્ષિણ ઝોનમાં ૯૦ જેટલી કાર્યરત છે તેમ છતાં તે ઝોનમાં જ ફરિયાદો વધુ આવે આ તે કેવો વહીવટ ?
ભાજપ દ્વારા કહેવાતો વિકાસ તે પોકળ વિકાસ પુરવાર થાય છે શહેરના મોટા ભાગના વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાને કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઈ જાય છે જેથી શહેરની જનતાને વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે જરૂરી કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.