Western Times News

Gujarati News

વડોદરા પુલ દુર્ઘટનાઃ બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા નદીમાં પડ્યાઃ 9 ના મોતઃ 6 ગંભીર

દરેક મૃતકના પરિવારને PM મોદી દ્વારા PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: ગુજરાત રાજ્ય સરકાર આ  દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય કરશે. 

બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઇને નીકળવું

Vadodara, વડોદરા અને આણંદને જોડતો ગંભીરા પુલ વચ્ચેથી તૂટી પડ્યો છે. અનેક વાહનો નદીમાં પડી ગયા હોવાની આશંકા છે; બચાવ કામગીરી ચાલુ છે.

વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી  અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ 9 જુલાઈ, 2025 બુધવારના રોજ વહેલી સવારે તૂટી પડયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 9 વ્યક્તિઓના મોત થયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મિડીયા પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે:

જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તે સાથે પાદરા પોલીસે પણ ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. એક મહીલા પોતાનો અને બાળકનો જીવ બચાવવા માટે કલ્પાંત કરી રહી હતી. 

આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ ધરાસાઈ થવાના સમાચાર મળતાં જ સાંસદશ્રી મિતેષભાઈ પટેલે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને બચાવ કામગીરીની દેખરેખ રાખી.

આ દરમિયાન તેમણે સ્થળે હાજર અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા. આ મહત્વપૂર્ણ કામગીરી દરમિયાન નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, અમુલ ડેરીના ડાયરેક્ટર શ્રી ગુલાબસિંહ પઢીયાર તથા આંકલાવ તાલુકા અને શહેર સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહીને બચાવ કામીગીરીમાં સહયોગ આપ્યો.

ગંભીરા બ્રીજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર  રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તુટી ગયેલ હોય જેના પરીણામે આ રસ્તા ઉપર વાહનની અવર-જવર દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવાનું ઇચ્છનીય હોઈ આજથી તા.૯ જુલાઈથી ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવાતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇ પ્રસિદ્ધ કર્યું છે.ગંભીરા બ્રીજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર  રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

પ્રતિબંધીત રૂટ જોઈએ તો પાદરા આણંદને જોડતા ગંભીરા પુલ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ તથા ઉમેટા બ્રીજ ભારે વાહનો માટે પ્રતિબંધીત કરવામાં આવ્યો છે.

ડાયવર્ટેડ કરેલ રૂટની  વિગતો જોઈએ તો,તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીધા વાસદ થઈને વડોદરા તરફ રૂટનું ડાયવર્ટ કરાયો છે. તદ ઉપરાંત બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઇને નીકળવું તેમજ ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.

વધુમાં,પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રીજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવા અને મોટા વાહનોને વાસદ થઈને નિકળવા જણાવવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આકલાવના ધારાસભ્‍ય ચાવડા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્‍ટ કરે છે અને આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે.

તેમણે જણાવ્‍યું કે બ્રિજ તૂટવાની ઘટના બાબતે પોલીસને જાણકારી આપી દેવામાં આવતી હતી. હાલ બ્રિજ તૂટવાના કારણે પાંચ જેટલા વાહનો નદીમાં પડ્‍યા છે અને એક ટ્રક લટકતી છે. બંનેની જાણ કરી દેવામાં આવી છે.

આ બ્રિજ મહિસાગર નદી પર આવેલો છે. તેનું નિર્માણ ૧૯૮૫માં પૂર્ણ કરાયું હતું. બ્રિજ ધરાશાયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઇ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરાયો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઇ ગઇ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો.

સ્‍થાનિકોએ આરોપ મૂકયો કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ભાજપના શાસનમાં જાળવણીના અભાવે તૂટી પડ્‍યો. ગુજરાત માર્ગ અને મકાન વિભાગની ૨૫ વર્ષના આયુષ્‍ય અવધિ સાથે બનાવેલો બ્રિજ ૪૫ વર્ષે તૂટી પડે અને લોકો મોતને ભેટે એની રાહ જોતી ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારને કુદરતનો વધુ એક તમાચો છે.

ગંભીરા બ્રિજમાં મૃત્યું પામેલા લોકોની યાદી

1) વૈદિકા રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા 2) નૈતિક રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા 3) હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ઉં. વ.- , ગામ-મજાતણ 4) રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.૩૨, ગામ-દરિયાપુરા 5) વખતસિંહ મનુસિંહ જાદવ, ઉં. વ. , ગામ-કાન્હવા 6) પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.૨૬, ગામ-ઉંડેલ 7) અજાણ્યા ઇસમ 8) અજાણ્યા ઇસમ 9) અજાણ્યા ઇસમ

ગંભીરા બ્રિજમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની યાદી

1) સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. ૪૫, ગામ-દરિયાપુરા 2) નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. ૪૫, ગામ-દહેવાણ 3) ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. ૪૦, ગામ-રાજસ્થાન 4) દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. ૩૫, ગામ-નાની શેરડી 5) રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. ૩૦, ગામ-દ્વારકા 6) રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ઉં. વ. ૪૫, ગામ-દેવાપુરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.