અસારવામાં ગટર ઉભરાવાની તીવ્ર સમસ્યા; નાગરિકો ધારાસભ્ય દર્શનાબેનને ઘેરી વળ્યાં

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના અસારવા – શાહીબાગ વોર્ડના જહાંગીરપુરા વિસ્તારમાં ગટરના પાણી ઊભરાવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. મુખ્ય માર્ગ ઉપર નિકાલના અભાવે ગંદુ પાણી એકઠું થવા લાગ્યું છે, જેના કારણે સ્થાનિક નાગરિકોની તબિયત ઉપર જોખમ ઊભું થયું છે.
આ મામલે સ્થાનિક ધારાસભ્ય સમક્ષ અનેક વખત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. તેથી શુકવારે આ વિસ્તારના રહેવાસીઓએ રોડ પર એકત્રિત સમસ્યાના કારણે ઉગ્ર દેખાવ કર્યા હતા અને ધારાસભ્ય ને ઘેરી વળ્યા હતા.
અસારવા -શાહીબાગ વિસ્તાર ના જહાંગીરપુરા સિવિલ હોસ્પિટલના સામેના મુખ્ય રોડ પર આવેલ ડ્રેનેજ લાઇનમાં ૨૦ ફૂટ ઊંડા મશીનહોલમાં બ્રેકડાઉન થયું છે. આ કારણે ગટરનું પાણું લાઇનમાંથી પસાર ન થઈ શકતા બેકિંગ થવા લાગી છે. આખા વિસ્તારના રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજની મુશ્કેલીથી કંટાળેલા નાગરિકો શુક્રવારે સવારના સમયે જહાંગીરપુરા ચોક પાસે રોડ પર ઉતરી આવ્યા હતા.
દરમ્યાન સ્થાનિકોને માહિતી મળી હતી કે ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા જહાંગીરપુરા ની શાળા માં ચોપડા વિતરણ ના કાર્યક્રમમાં આવ્યા છે. તેથી રોષે ભરાયેલા નાગરિકો નું ટોળું કાર્યક્રમ ના સ્થળે ગયું હતું તેમજ સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને કોર્પોરેટરો ને ઘેરી વળ્યા હતા. તેમજ તેમની સમસ્યા અંગે ઉગ્ર રજુઆત કરી હતી
સ્થાનિક રહીશો એ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરતા જણાવ્યા હતું કે આ વિસ્તારમાં સમસ્યા ના કાયમી ઉકેલ માટે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવે, દર મહિને ડ્રેનેજ લાઇનનું નિરીક્ષણ અને સફાઈ થાય,બ્રેકડાઉન પ્રત્યે તાત્કાલિક કાર્યવાહી માટે વોર્ડ લેવલ ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ કાર્યરત કરવી તેમજ નાગરિકોની સીધી ફરિયાદ માટે છસ્ઝ્ર હેલ્પલાઇનની કામગીરી સુધારવી જરૂરી છે. મધ્યઝોનના એડિશનલ ઈજનેર અમિત પટેલે જણાવ્યું હતું કે મશીનહોલમાં બ્રેકડાઉન થયેલા છે, જેના કારણે ડ્રેનેજ લાઇનમાં શીલ્ટ જમા થઈ ગયો છે.
હાલ સીસીટીવી મશીન દ્વારા ડિસિલ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે તૂટેલા ભાગોની મરામતના કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ આવી જશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.