વડોદરાના ૪૩ પૈકી ૪૧ બ્રિજ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ સુરક્ષિત

પ્રતિકાત્મક
વડોદરામાં કમાટી બાગ બ્રિજ બંધ છે જ્યારે જાંબુવા બ્રિજ પણ ગયા વર્ષે બંધ કર્યો હતો.
વડોદરા, મહિસાગર નદી ઉપર ૪પ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ બુધવારે સવારે તૂટી પડયાની ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનરે પણ વડોદરા શહેરમાં આવેલા તમામ બ્રિજની મજબૂતાઈ કેવી છે તેની સ્થિતિ તપાસવા આદેશ આપ્યો હતો.
મહાનગરપાલિકાના બે કન્સલ્ટન્ટના અહેવાલ બાદ બે બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બંધ કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રીએ જણવાયું હતું કે, વડોદરા શહેરમાં ૧૪ રેલવે ઓવરબ્રિજ, ૪ ફલાઈ ઓવર, રર રિવર બ્રિજ તથા અન્ય એક મળીને કુલ ૪૩ બ્રિજિ છે. જેમાં કમાટી બાગમાં અને એક જાંબુવાનો ગાયકવાડી શાસન વખતનો બેઠા પુલનો સમાવેશ થાય છે.
મહાનગર પાલિકા દ્વારા ડિઝાઈન સલાહકારની નિમણૂંક કરીને ચોમાસા પૂર્વે બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં તમામ બ્રિજ સલામત જણાયા હોવાનો રિપોર્ટ આવ્યો હતો પરંતુ ગંભીરા બ્રિજની ઘટના બન્યા બાદ દરેક બ્રિજની સ્ટ્રકચર સ્ટેબિલિટી કેવી છે તે તપાસવા કહ્યું છે. હાલમાં કમાટી બાગ બ્રિજ બંધ છે જ્યારે જાંબુવા બ્રિજ પણ ગયા વર્ષે બંધ કર્યો હતો.
તેના પરથી માત્ર ચાલતા આવજા કરવાની છૂટ છે. હાલમાં સલાહકારોના કહેવા મુજબ જે બ્રિજમાં નાનું મોટું સિવિલ વર્ક કરવાનું છે તે તબક્કાવાર ચાલુ કરવામાં આવ્યું છે હજુ તાજેતરમાં જ કાલાઘોડા બ્રિજનું સિવિલ વર્ક ચાલુ કરવામાં આવ્યું છે.