નેત્રામલી – ગણેશપુરા માર્ગ ઉપરના કોઝવે નીચેના ધોવાણથી અકસ્માતની ભીતી

(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાના નેત્રામલી – ગણેશપુરા માર્ગ ઉપર વહીવટી તંત્ર દ્વારા પંદરેક વર્ષ પહેલા કોતર ઉપર કોઝવે બ્રીજ બનાવવામાં આવેલ હતો. આ કોઝવે ઉપર શેરપુર, કુકડીયા જવા નાના મોટા વાહનોની અવરજવરમાં દૂધ ભરેલા ડેરીના ટેન્કર, ખેડૂતોના ધાસચારો ભરેલા ટ્રેક્ટર, કાર, બાઇક સવારો અને સ્કૂલના વિધાર્થીઓની બસની અવર જવર રહે છે.
ચાલુ સાલે શરૂઆત થી જ વરસાદ વરસતાં કોઝવેના લાંબા સ્લેબ નીચે માટીનું ખૂબજ મોટા પ્રમાણ માં ધોવાણ થવા પામ્યું છે અને ગમે તે સમયે ભારે વાહનના વજનના કારણે તૂટી જાય તેમાં નવાઈ નહી જેથી કરીને વહીવટી તંત્ર દ્વારા સ્થળ ઉપર તપાસ કરી સમસ્યાનો ઉકેલ ઝડપથી લાવી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે.
ગણેશપુરા ગામના ડે. સરપંચ મોમીન મેંદીભાઇ ના જણાવ્યા અનુસાર છેલ્લા ધણાં સમયથી આ કોઝવે ઉપર મરામતનું કામ કરવામાં આવ્યું નથી અને દર વર્ષ ની જેમ આ વર્ષે ચોમાસાના પાણીના પ્રવાહના કારણે કોઝવેના સ્લેબ નીચે માટીનું ધોવાણ થઇ ગયું છે જેથી કરીને ભારે વાહનના લીધે કોઝવે નો સ્લેબ ધરાશાયી થઇ અકસ્માત સર્જાઇ શકે છે.