ચીનમાં કુદરતનો કેરઃ બેઇજિંગમાં અતિભારે વરસાદ બાદ ૩૦ના મોત

બેઇજિંગ, ચીનની રાજધાની બેઇજિંગમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આ વરસાદને કારણે અત્યાર સુધીમાં ૩૦ લોકોનાં મોત થયાં છે, જ્યારે લગભગ ૮૦,૦૦૦ લોકોને પોતાનાં ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે.
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વરસાદના કારણે ઘણા રસ્તાઓને નુકસાન થયું છે અને ૧૩૬ ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને ગુમ થયેલા લોકોની શોધ અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરવા, સ્થળાંતર કરાયેલા લોકોને યોગ્ય રીતે ફરીથી વસાવવા અને જાનહાનિ ઘટાડવા માટે શક્ય હોય તેટલું બધું કરવા નિર્દેશ આપ્યો છે.મીડિયા રિપોટ્ર્સ અનુસાર બેઇજિંગના મિયુન જિલ્લામાં મોડી રાત સુધીમાં ૨૮ અને યાનકિંગમાં ૨ લોકોના મૃત્યુ થયા છે.
ચીનની રાજધાનીમાં રાતભર ભારે વરસાદ થયો હતો. સોમવારે મળેલા અહેવાલો અનુસાર, ભારે વરસાદ અને પૂરના કારણે ૪ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ૮ હજુ પણ ગુમ છે.
આ પીડિતો હેબેઈ પ્રાંતમાં થયેલા ભૂસ્ખલનમાં ફસાયા હતા. આ સાથે તોફાનથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઓછામાં ઓછી ૩૪ થઈ ગઈ છે.ભારે વરસાદ અને પૂરના કારણે ચીનના બેઇજિંગ અને તિયાનજિન શહેરમાં ૪૦,૦૦૦થી વધુ લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
બેઇજિંગના ગ્રામીણ મિયુન જિલ્લામાં એક ડેમ છલકાઈ જતાં પાણી છોડવામાં આવ્યું હતું, જે ૧૯૫૯માં તેના નિર્માણ બાદના સર્વાેચ્ચ સ્તરે હતું. અધિકારીઓએ લોકોને નદીઓના નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા ચેતવણી આપી છે, કારણ કે પાણીનું સ્તર વધી રહ્યું છે અને હજુ પણ ભારે વરસાદની સંભાવના છે.
બેઇજિંગના અધિકારીઓએ સોમવારે રાત્રે ૮ વાગ્યે ઉચ્ચ-સ્તરીય કટોકટી પ્રતિભાવ શરૂ કર્યાે હતો. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય તું સુધી લોકોને ઘરોમાં રહેવા, શાળાઓ બંધ રાખવા, બાંધકામ કાર્ય સ્થગિત કરવા અને બહારના પર્યટન તેમજ અન્ય પ્રવૃત્તિઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બેઇજિંગમાં આજે સૌથી વધુ વરસાદની અપેક્ષા છે, કેટલાક વિસ્તારોમાં ૩૦ સેન્ટિમીટર સુધી વરસાદનું અનુમાન છે. બેઇજિંગના વિવિધ જિલ્લાઓમાંથી ૩૦,૦૦૦થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, જેમાં મિયુનમાંથી લગભગ ૬૪૦૦ લોકોનો સમાવેશ થાય છે. શિન્હુઆના અહેવાલ મુજબ, તિયાનજિન શહેરના નજીકના જિઝોઉ જિલ્લામાંથી વધુ ૧૦,૦૦૦ લોકોને ખસેડવામાં આવ્યા છે.SS1MS