રાષ્ટ્રીય અને આધ્યાત્મિક વિરાસતને બચાવવા અને રાષ્ટ્રના ચહુમુખી વિકાસ માટે આપણે સૌ સહભાગી બનીએ: રાજ્યપાલ

૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી: પોરબંદર
૭૯માં સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ પોરબંદર ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો.
પોરબંદર સ્થિત શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલશ્રીએ સૌને ૭૯માં સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ પૂજ્ય ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને રાષ્ટ્રભક્તોનું સ્મરણ કરવાનો દિવસ છે. પૂજ્ય ગાંધીજીએ આઝાદીની ચળવળ દરમિયાન દેશની ભવ્ય રાષ્ટ્રીય અને આધ્યાત્મિક વિરાસતને બચાવવા જે પ્રયત્નો કર્યા હતા, તેનું અનુકરણ આજની પેઢી કરે તો ભારત ચહુમુખી વિકાસ કરી શકશે અને આપણે સૌએ આ વિકાસયાત્રામાં સહભાગી બનવું જોઇએ.
જીવનમાં કર્મની મહત્તા વિશે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, જીવનની મહત્વપૂર્ણ પૂંજી વ્યક્તિના કર્મ છે. જો આપણે કર્તવ્યભાવના, ઈમાનદારી અને સમર્પણભાવથી લોકોના કલ્યાણ માટે કર્મ કરીશું તો તેનાથી કોઈ મોટો ધર્મ નથી.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આપણો દેશ બહુઆયામી વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. આજે વિશ્વફલક પર ભારતની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. ઔદ્યોગિક ક્રાંતિ, ખેડૂતો માટે આધુનિક સુવિધાઓ, રમત-ગમત ક્ષેત્રની અભૂતપૂર્વ સફળતાઓ, રેલવે, રોડ-રસ્તા સહિતના આધુનિક ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરથી વિકાસની ગતિ તેજ બની છે. ગુજરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે દેશના ગ્રોથ એન્જિન તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂક્યું છે.
રાજ્યપાલશ્રીએ સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તૈય, બ્રહ્મચર્યના સિદ્ધાંતોની છણાવટ કરીને ધર્મ-અધર્મની સીધી અને સરળ સમજ રજૂ કરતા કહ્યું હતું કે, જે ટકી જાય તે ધર્મ છે અને જે ટકી ન શકે તે અધર્મ છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, જો તમામ લોકો સત્યનું આચરણ કરવા લાગે તો લોકોનું જીવન સુખમય અને આનંદમય બની રહેશે.
રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમ બાદ ઉપસ્થિત લોકો સાથે સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ આ અવસરે પ્રાકૃતિક કૃષિ હાટની મુલાકાત લઈને કૃષિકારો સાથે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે વાર્તાલાપ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અને તેને સમાજ વચ્ચે લઈ આવવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
આ તકે પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનની ધૂનની તેમજ રાષ્ટ્રભક્તિ દર્શાવતા દેશભક્તિની ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એટ હોમ સમારોહ પ્રતિ વર્ષ જુદા જુદા જિલ્લામાં કરવાની અનોખી પરંપરા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્થાપિત કરી હતી. આ રીતે ગુજરાતે એટ હોમની કાર્યક્રમની ઉજવણી માટે પણ દેશના અન્ય રાજ્યોને રાહ ચીંધ્યો છે.
આ સમારોહમાં કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પુજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, રાજ્ય પોલીસવડા શ્રી વિકાસ સહાય, પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી.ચૌધરી, જિલ્લા પોલીસવડા શ્રી ભગીરથસિંહ જાડેજા, સમાજના ગણમાન્ય અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.