‘૩ ઈડિયટ્સ’માં ફેમ એક્ટરનું ૯૧ વર્ષની વયે નિધન

નવી દિલ્હી, બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાનની ફિલ્મ ‘૩ ઈડિયટ્સ’માં પ્રોફેસરનો રોલ કરનાર દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદાર હવે આ દુનિયામાં નથી રહ્યા. ૯૧ વર્ષની વયે અચ્યુત પોતદારનું નિધન થયું છે.
સ્વાસ્થ્ય સમસ્યાઓનાં કારણે અચ્યુત પોતદાર ગઈકાલે રાત્રે અચાનક બેભાન થઈ જતાં થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત સતત બગડવાને કારણે તેમને બચાવી શકાયા નહીં.
પોતદારના દીકરી અનુરાધા પારસ્કરે જણાવ્યું કે મંગળવારે સાંજે ૪ વાગ્યે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.અચ્યુત પોતદારનો જન્મ ૨૨ ઓગસ્ટ, ૧૯૩૪ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં થયો હતો. તેઓ એક મરાઠી બ્રાહ્મણ પરિવારના હતા. તેમનું બાળપણ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં વીત્યું હતું. વર્ષ ૧૯૬૧માં તેમણે અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
ત્યારબાદ તેમણે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. આ લાંબી કારકિર્દીમાં, તેમણે ૧૨૫થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મો ઉપરાંત, તેમણે ૯૫ ટેલિવિઝન સીરિયલ, ૨૬ નાટકો અને ૪૫ જાહેરાતોમાં પણ કામ કર્યું છે, જેમાં હિન્દી અને મરાઠી બંને ફિલ્મો અને ટીવી શાનો સમાવેશ થાય છે.૨૨ ઓગસ્ટે અચ્યુત પોતદારનો જન્મદિવસ હતો, પણ તે પહેલાં જ તેમનું અવસાન થયું.
તેઓ ઘણા સમયથી ઉંમર-સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા અને તેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, અભિનેતા અચ્યુત પોતદારના અંતિમ સંસ્કાર આજે એટલે કે ૧૯ ઓગસ્ટે થાણેમાં કરવામાં આવશે. આ સમયે તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહેશે.
અચ્યુત પોતદારનો ‘૩ ઈડિયટ્સ’ ફિલ્મનો એક ડાયલોગ ખૂબ પ્રખ્યાત થયો હતો. આ ડાયલોગ હતો, ‘અરે, કહેના ક્યા ચાહતે હો?’ આ ડાયલોગનો સોશિયલ મીડિયા પર ઘણો ઉપયોગ થયો હતો અને તેના પર ઘણાં મીમ્સ બન્યા હતા. લોકો આજે પણ આ મીમ્સને ખૂબ પસંદ કરે છે.SS1MS