‘મૂર્તિ નાની, શ્રદ્ધા મોટી’ના મંત્ર સાથે રાજ્યભરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા સ્થાપનનું ભક્તોમાં આકર્ષણ

‘ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ’ વિષય પર રાજ્યભરમાં GPCB અને પર્યાવરણ મિત્રના ઉપક્રમે વિવિધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન
Ahmedabad, રાજ્યભરમાં આસ્થા અને ભક્તિ સાથે આગામી સમયમાં વિવિધ સ્વરૂપે ‘ગણેશ મહોત્સવ’નું આયોજન કરવામાં આવનાર છે. પર્યાવરણ જતનના હેતુ સાથે ‘ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ’ વિષય પર રાજ્યભરમાં GPCB અને પર્યાવરણ મિત્રનાં ઉપક્રમે ગત તા. ૮ ઓગસ્ટ ૨૦૨૫થી વિવિધ કોલેજો, શાળાઓ, શેરીઓ, સોસાયટીઓ અને વિવિધ ઇકો ક્લબના માધ્યમથી જાગૃતિ કાર્યક્રમ-વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આગામી ૧૦ દિવસ દરમિયાન અમદાવાદમાં વધુ વસ્તી ધરાવતા મુખ્યત્વે ૫૦ જેટલા ગણેશ પંડાલમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અંગે શેરી નાટકનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે ‘મૂર્તિ નાની, શ્રદ્ધા મોટી’ના મંત્ર સાથે રાજ્યભરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા સ્થાપનનું ભક્તોમાં વિશેષ આકર્ષણ રહ્યું છે.
આ વર્કશોપનો મુખ્ય હેતુ માત્ર વિધાર્થીઓ પૂરતો મર્યાદિત ન રહીને, સ્થાનિક નાગરિકો અને વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવના આયોજકોમાં પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા સ્થાપન અંગે વધુ જાગૃતિ લાવવાનો છે. વિધાર્થીઓએ નાગરિકોને ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાના મહત્વ અંગે સમજ આપી કે, પ્લાસ્ટર ઓફ પેરિસ (pop) થી બનેલી મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી અને તે જળપ્રદૂષણ સાથે જળચર પ્રાણીઓ માટે જોખમરૂપ બને છે.
જેનાથી પાણીમાં રહેલ જળચર જીવોને નુકસાન થાય છે અને તેઓ મૃત્યુ પામે છે. પાણીનું પ્રદૂષણ અને પર્યાવરણનું સંતુલન બગડે છે. તેના સ્થાને જો આપણે ઇકો ફ્રેન્ડલી-માટીની મૂર્તિ બનાવી તેનું વિસર્જન પાણીમાં કરીયે તો તે પાણીમાં ઝડપથી ભળી જાય છે જેથી જળચર પ્રાણીઓને નુકસાન પહોંચતું નથી સાથે સાથે પાણી અને જમીનનું પ્રદૂષણ થતું અટકે છે.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCB, પર્યાવરણ મિત્ર, વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકો સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત આ વર્કશોપમાં ઉત્સાહપૂર્વક સહભાગી થઈને ગણેશજીની મૂર્તિ બનાવવાની સર્જનાત્મકતા દર્શાવી રહ્યા છે.
વધુમાં વિધાર્થીઓએ માટીમાંથી કેવી રીતે સહેલાઇથી સુંદર અને આકર્ષક ગણેશજીની મૂર્તિ બનાવી શકે છે તેનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું. વર્કશોપમાં હાજર ભક્તોએ પણ પોતે ભાવપૂર્વક માટીના ગણેશજી બનાવીને કોલેજના વિધાર્થીઓએ સાથે ચર્ચા કરી ‘મૂર્તિ નાની, શ્રદ્ધા મોટી’, ‘પર્યાવરણ બચાવો – માટીના ગણેશનું સ્થાપન’ અને નો સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે ઇકો ફ્રેન્ડલી પંડાલ બનાવવાનો સંદેશો આપ્યો હતો.
આ અવસરે અમદાવાદ ખાતે એ.જી ટીચર્સ કોલેજના પ્રિન્સિપાલે વર્કશોપ દરમિયાન જણાવ્યું હતું કે, આવા પર્યાવરણલક્ષી જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ પૂરતા મર્યાદિત નથી રહેતા પરંતુ સમજ-વિચારમાં
હકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે. આ વર્કશોપના અંતે તમામ ઉપસ્થિતોએ આગામી ગણેશોત્સવમાં માટીના ગણેશજી સ્થાપવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ પર્યાવરણને સંતુલિત રાખી ઉજવણી કરવા વિશે જાગૃતિ ફેલાવી અને દરેકને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ અપનાવવા સૌને પ્રોત્સાહિત કરી રહ્યો છે.
આ વર્કશોપમાં અત્યારસુધીમાં બી.એડ કોલેજ ગાંધીનગર, એ.જી ટીચર્સ કોલેજ તેમજ શ્રી એમ.એન શુક્લા એજ્યુકેશન કોલેજ અમદાવાદ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ, GPCB ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.