પતિના આપઘાતના કેસમાં પત્નીના પ્રેમીને હાઈકોર્ટમાંથી વચગાળાની રાહત

અમદાવાદ, પત્નીના કથિત લગ્નેતર સંબંધને કારણે પતિએ આપઘાત કરી લેતાં નોંધાયેલી ફરિયાદમાં પત્નીના પ્રેમીને હાઇકોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે. જેમાં હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે કે, પ્રેમી સામે કોર્ટની મંજૂરી વિના ચાર્જશીટ ફાઇલ કરવી નહીં અને હાલ કોઇ આકરી કાર્યવાહી હાથ ધરવી નહીં.
સુરતના ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં સસરાએ પોતાની વહુ, વેવાઈ અને વહુના પ્રેમી સામે પોતાના દીકરાને આપઘાત દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપી વહુને લગ્નેતર સંબંધો હતા. જેથી તે અને તેના પિતા મૃતકના દીકરાને શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા. આખરે પતિએ પત્નીને વોટ્સઅપ મેસેજ કરીને મીનીઘાટ ધોધમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.
જેમાં ત્રણ આરોપીએ પોતાની સામે ફરિયાદ રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. પત્ની અને સસરાની અરજી ઉપર આગામી સમયમાં સુનાવણી યોજાશે. જ્યારે પ્રેમીની અરજી ઉપર હાઇકોર્ટે કોર્ટની પરવાનગી વગર ચાર્જશીટ ફાઇલ નહીં કરવા આદેશ કર્યાે છે.
સાથે જ પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી ચાર સુપ્તાહ બાદ મુકરર કરી છે. આ કેસમાં અરજદાર(પ્રેમી) તરફથી રજૂઆત કરાઈ હતી કે, એફઆઈઆરમાં તેની સામે કોઈ આક્ષેપ નથી. એફઆઈઆર મૃતકના આપઘાત કર્યાને ૧૧ મહિના બાદ નોંધાઇ છે.
કોર્ટે નોંધ્યું હતું કે, મૃતક અને અરજદાર આરોપી વચ્ચે ક્યારેય વાતચીત થઈ નથી. ફક્ત પતિ અને પત્ની વચ્ચે વોટ્સઅપ ચેટ થઈ છે ત્યારે અરજદાર આરોપી ઉપર આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો કેવી રીતે લાગે. પતિ પત્નીના ઝઘડામાં ત્રીજો વ્યક્તિ જવાબદાર કેવી રીતે કહેવાય.આ કેસની વિગત એવી છે કે, મૃતક યુવકના પિતાએ પોલીસ ફરિયાદ આપી હતી કે તેમનો દીકરો અને વહુ બારડોલી ખાતે રહે છે. દીકરો વર્ષ ૨૦૧૭થી ગ્રામસેવક તરીકે નોકરી કરતો હતો.
જેની સગાઈ વર્ષ ૨૦૧૯માં ક્લાસ-ટુ ઓફિસર યુવતી સાથે કરાઈ હતી અને વર્ષ ૨૦૨૦માં લગ્ન થયા હતા. દીકરા અને વહુ વચ્ચે સામાન્ય ઝઘડા શરૂ થયા હતા અને દીકરો ટેન્શનમાં રહેવા લાગ્યો હતો. વર્ષ ૨૦૨૪માં દીકરા અને વહુ વચ્ચે ઝઘડો થતાં બંનેએ એકબીજાને માર માર્યાે હતો. જેમાં વહુએ દીકરાના શરીરે બચકાં ભર્યાં હતા.
વહુના પિયર પક્ષના લોકો પણ દીકરાને મારવા માટે તેના ઘરે પહોંચ્યા હતા. ખરેખર દીકરાને પત્નીના લગ્નેતર સંબંધની જાણ થઇ ગઇ હતી. દીકરો ક્લાસ થ્રી કર્મચારી અને વહુ ક્લાસ ટુ કર્મચારી હોવાથી તે દીકરા ઉપર રોફ જમાવતી હતી. તે દીકરાને છૂટાછેડા આપવા માટે દબાણ કરતી હતી. આથી ગાડી લઈને દીકરો મીનીઘાટ ધોધ પાસે પહોંચ્યો હતો. જેમાં કૂદીને તેને આત્મહત્યા કરી લીધી હતી.SS1MS