પુત્રની લાલચમાં માતાએ બે મહિનાની દીકરીને પાણીમાં ડુબાડીને મારી નાખી

રાજકોટ, પુત્રની લાલસામાં માતા-પિતા કેવાં હદ સુધી જઈ શકે છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા ગામે એક માતાએ પુત્રની લાલચમાં બે મહિનાની પોતાની દીકરીને રસોડાના પાણીના ટાંકામાં ડુબાડી મોતને ઘાટ ઉતારી દીધી.
આ હૃદયદ્રાવક ઘટના ચાર મહિના પહેલા બની હતી, પરંતુ હવે પતિની ફરિયાદ પરથી પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. પીપલાણા ગામના રહેવાસી સાજીદભાઈ ગુલાબભાઈ કાયાણીએ પોતાની પત્ની મુસ્કાન વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, સાજીદભાઈ અને મુસ્કાનને બે દીકરીઓ છે. મોટી દીકરી નુરેના ૬ વર્ષની છે, જ્યારે બીજી દીકરી આયેશાનો જન્મ ૧૫ માર્ચ, ૨૦૨૫ના રોજ થયો હતો. મુસ્કાનને પુત્ર જોઈતો હતો, પરંતુ બીજી પણ દીકરી જન્મતાં તે નારાજ હતી.સાજીદભાઈએ પોલીસને જણાવ્યું કે, ૨૩ મે, ૨૦૨૫ના રોજ તેઓ કામ પર ગયા હતા અને ઘરે તેમની પત્ની અને બંને દીકરીઓ એકલી હતી.
સાંજે લગભગ પાંચ વાગ્યે મુસ્કાનનો ફોન આવ્યો કે નાની દીકરી આયેશા ઘોડિયામાં નથી. શોધખોળ કરતાં પરિવારજનોએ તેને રસોડાના પાણીના ટાંકામાંથી બહાર કાઢી. તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા છતાં બે મહિનાની બાળકીનું મૃત્યુ થયું હતું.શરૂઆતમાં પરિવારે આ બનાવને આકસ્મિક ગણીને બાળકીની દફનવિધિ કરી હતી.
જોકે, થોડા દિવસો બાદ મુસ્કાન જ્યારે રાજકોટ પિયર ગઈ, ત્યારે તેના ભાઈ અને ભાભીએ ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને સાજીદભાઈને જણાવ્યું કે મુસ્કાને કબૂલ્યું છે કે તેણે જ આયેશાને ટાંકામાં નાખીને મારી નાખી હતી, કારણ કે તેને પુત્ર જોઈતો હતો. આ વાત સાંભળીને સાજીદભાઈના પરિવારે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.SS1MS