AMC કમિશનર સાથેની મંત્રણાનું પરિણાન ન આવતાં નોકર મંડળના પ્રતીક ઉપવાસ

પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો હડતાળની ચીમકી
અમદાવાદ । પ્રતિનિધિ, અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા AMCમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા, AMCના ક્રમચારીઓને સુરત મહાનગરપાલિકાના ધોરણે પગાર આપવા, ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટે ૨૪ કલાકના બદલે ૮ કલાકનો અમલ કરવા,
મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં વર્ગ- ૩ અને વર્ગ-૪માં તેમજ RWAમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા, AMCના કર્મચારીઓને કાયમી કરવા, સહિતની ઘણાં સમયથી પડતર માંગણીઓ નહીં સતોષાતાં AMC દાણાપીઠના પટાંગણમાં મહાદેવના મંદિર પાસે મંગળવારથી પ્રતીક ઉપવાસનો પ્રારંભ કરાયો છે. વિવિધ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ કરવા સહિત વિવિદ કાર્યક્રમો સાથે શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવશે.
જો પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો શાંતિપૂર્વક આંદોલન કરવાની સાથે હડતાલ પાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નોકર મંડળના હોદ્દેદારોએ AMC કમિશનર બંછાનિધિ પાનીને આવેદનપત્ર સુપરત રજુઆત કરી હતી અને ત્યારપછી હાથ ધરાયેલી વાટાઘાટોનું નક્કર પરિણામ આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, ગત ગુરૂવારે મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા લગભગ ૧૦ હજાર જેટલા કર્મચારીઓએ મહારેલીનું આયોજન કર્યું હતું
અને બપોર ૨.૩૦ વાગ્યાથી ૫.૪૫ સુધી દેખાવો કરીને દાણાપીઠ AMC કોર્પોરેશનની મુખ્ય કચેરીને સૂત્રોચ્ચારો, બેનરો, ડીજેની આઈસર અને ટ્રક સાથે દેખાવો કરવાને કારણે ચાર કલાકથી વધુ સમય સુધી ઘેરી લીધી હતી અને કર્મચારીઓના દેખાવોને પગલે દાણાપીઠથી અમદુપુરા અને એલિસબ્રિજ સુધી ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો.