ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા રેલીનું ભાનુબેન બાબરીયાએ કરાવ્યું પ્રસ્થાન

ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા
Gandhinagar, સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫‘ની ઉજવણી ‘સ્વચ્છોત્સવ‘ તરીકે કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે, ભારત સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘સ્વચ્છતા હી સેવા પખવાડિયું‘ ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વચ્છતા હી સેવા‘ કાર્યક્રમમાં સહભાગી થઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
મંત્રીશ્રીએ સૌપ્રથમ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીનો હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવાનો છે.
કાર્યક્રમ દરમિયાન, મંત્રીશ્રીએ ગાંધીનગર ખાતે આયોજિત ‘સેવા યજ્ઞ‘માં પણ ભાગ લીધો હતો. તેમણે શહેરમાં સ્વચ્છતા જાળવવામાં મહત્વનો ભાગ ભજવતા સ્વચ્છતા કર્મીઓની ઉમદા કામગીરીને બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને સ્વચ્છતા કર્મયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સ્વચ્છતા પ્રત્યે સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો છે.