આજે ૧૫૬મી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા પટાંગણમાં પુષ્પાંજલિ

મહાત્મા ગાંધીજીની ૧૫૬મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા ખાતે તેમની પ્રતિમા-તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરતાં મંત્રીશ્રી-મેયરશ્રી
‘મેરા જીવન હી મેરા સંદેશ હૈ‘ નો ભારત સહિત વિશ્વભરમાં સંદેશ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે ૧૫૬મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા પટાંગણમાં સ્થિત તેમની ભવ્ય પ્રતિમા તેમજ ગૃહમાં તેમના તૈલચિત્ર સમક્ષ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ,સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જન્મ જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને યાદ કરતાં કહ્યું હતું કે,ગાંધીજીના જીવન પર અનેક પ્રકારના મૂલ્યવાન પુસ્તક લખાયેલા છે. તેમના અહિંસાના વિચારોથી પ્રેરીત થઈને યુનો દ્વારા તેમના જન્મ દિવસને ‘વિશ્વ અહિંસા દિવસ‘ તરીકે પણ ઉજવવાની પહેલ કરવામાં આવી છે.
મંત્રી શ્રી વિશ્વકર્માએ આ પ્રસંગે ચૌધરી વિદ્યાલયની વિદ્યાર્થીની ઓની સાથે સંવાદ કરતા કહ્યું હતું કે,આપણે પોતાના જીવનમાં ગાંધીજીના જીવન મૂલ્યોમાંથી કોઈ એક સારા વિચારનો અમલ કરવો જોઈએ. જેમાંથી સ્વદેશી વસ્તુઓનો આગ્રહ,પાણી બચાવવું,અન્નનો બગાડ કરવો નહીં, અનુસાશન, સત્ય બોલવું, સ્વચ્છતાના આગ્રહી બનવું અને સમયનું પાલન કરવું વગેરે અપનાવી શકાય.
તેમણે જણાવ્યું હતું કે,મહાત્મા ગાંધીજીના સ્વદેશી વિચાર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને વધુને વધુ ‘આત્મનિર્ભર‘ બનાવવા આપણા દેશમાં જ બનેલી સ્વદેશી વસ્તુઓ વાપરવાનો સૌ ભારતીયો અનુરોધ કર્યો છે,આ સ્વદેશી વિચારને આપણે સૌએ પોતાના દૈનંદિન જીવનમાં અપનાવવો જોઈએ.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ,શહેર ભાજપ પ્રમુખ શ્રી આશિષ દવે,વિધાનસભાના સચિવ શ્રી ચેતન પંડ્યા, સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતા, ઉચ્ચ અધિકારીઓ, નગરજનો તેમજ જે.એમ.ચૌધરી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.