વરસાદે દાર્જિલિંગથી નેપાળ સુધી તબાહી મચાવીઃ ૭૨ મોત

કાઠમંડુ, ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલથી પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને તેના આસપાસના વિસ્તારો તથા પડોશી દેશ નેપાળમાં ભારે વિનાશ વેરાયો હતો અને ઓછામાં ઓછા ૭૨ લોકોના મોત થયાં હતાં.
આ ભયાનક કુદરતી આપત્તિમાં સેંકડો ઘાયલ થયાં હતાં અને અનેક ગુમ થયાં હતાં. દાર્જિલિંગ અને મિરિકની પહાડીઓમાં એક દાયકાના સૌથી ભયાનક ભૂસ્ખલ અને પૂરમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયાં હતાં. બીજી પૂર્વ નેપાળમાં પણ ગઈરાત્રીથી પડી રહેલા ભારે વરસાદથી તબાહી સર્જા હતી. વિવિધ વિસ્તારોમાં ભૂસ્ખલ અને પૂરને કારણે રવિવાર સુધીમાં ઓછામાં ઓછા ૫૧ લોકોના મોત થયાં હતાં.
ગઈ રાત્રીથી પડી રહેલા અવરિત વરસાદથી પશ્ચિમ બંગાળના મિરિક અને દાર્જિલિંગ પહાડીઓમાં પૂર અને ભૂસ્ખલનમાં ઘણા બાળકો સહિત ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયાં હતાં અને અનેક ઘાયલ થયા.
પૂરમાં ઘરો તણાઈ ગયા, રસ્તાઓ તૂટી ગયા, ગામડાઓનો સંપર્ક તૂટી ગયો હતો અને દાર્જિલિંગ અને હિમાલયમાં ફરવા ગયેલા સેંકડો પ્રવાસીઓ ફસાયાં હતાં.
નાગરકાટાના ધાર ગાંવમાં ભૂસ્ખલનને કારણે ઘણા ઘરો ધરાશાયી થઈ હતાં અને કાટમાળમાંથી ઓછામાં ઓછા ૪૦ લોકોને બચાવી લેવામાં આવ્યાં હતાં. ભૂસ્ખલનના કારણે મીરિક-સુખિયાપોખરી રોડ સહિત મુખ્ય માર્ગાે પર ટ્રાફિકની અવરજવર ખોરવાઈ ગઈ હતી અને અનેક પહાડી વસાહતો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
એનડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ સરસલી, જસબીરગાંવ, મિરિક બસ્તી, ધાર ગાંવ (મેચી), નાગરાકાટા અને મિરિક તળાવ વિસ્તાર સહિતના અનેક સ્થળોથી જાનહાનિના અહેવાલ મળ્યાં હતાં. ઉત્તર બંગાળ વિકાસ મંત્રી ઉદયન ગુહાએ જણાવ્યું હતું કે જાનહાનિ દુઃખદ છે. પરિસ્થિતિ ચિંતાજનક છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૨૦ છે.
તેમાં વધારો થવાની શક્યતા છે. એનડીઆરએફના નિવેદન મુજબ ભૂસ્ખલનમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર મિરિકમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા હતાં અને આ વિસ્તારમાંથી સાત ઘાયલોને બચાવી લેવામાં આવ્યાં હતાં. દાર્જિલિંગમાં સાત લોકોના મોત થયાં હતાં. પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ પ્રતિભાવ ટીમોની મદદથી બચાવ કામગીરી ચાલુ કરાઈ હતી.
દુર્ગા પૂજા અને તે પછીના તહેવારોનો આનંદ માણવા માટે દાર્જિલિંગની પહાડીઓ પર ઉમટેલા સેંકડો પ્રવાસીઓ ફસાયા છે. કોલકાતા અને બંગાળના અન્ય ભાગોના પરિવારો અને જૂથો સહિત ઘણા લોકો મિરિક, ઘૂમ અને લેપચાજગત જેવા લોકપ્રિય સ્થળો પર ફસાયા હોવાના અહેવાલ છે.SS1MS