રાજ્યની ૨૪ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા તા. ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે

AI Image
-:વિકાસ સપ્તાહ દરમિયાન યોજાનારા મુખ્ય કાર્યક્રમો:-
Ø મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ, સરકારી કચેરીઓ, શાળા-કોલેજોમાં તેમજ ઓનલાઈન માધ્યમથી ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાશે
Ø સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગશીપ યોજનાઓનું પ્રદર્શન
Ø ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વ્યાખ્યાન માળા, પદયાત્રા તેમજ દરરોજ “નમોત્સવ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
Ø રોજગાર એનાયતપત્ર વિતરણ કાર્યક્રમ
Ø રૂ. ૧ થી ૨૫ કરોડ સુધીના રૂ. ૩,૩૨૬ કરોડના કામો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને તા. ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
જે અંતર્ગત ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી ઉજાગર કરવા તા. ૭થી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરાશે, એમ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના કુલ ૧૦ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારીતા સાથે ૧૩ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રત્યેક દિવસની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં ગુજરાતના લોકોને જાણકારી આપવાની સાથે વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન જે વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાવાના છે, તેમાં વિધાનસભાના પ્રાંગણમાં મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓની હાજરીમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. આ જ સમયે રાજ્યના ૩૪ જિલ્લાઓમાં પણ કલેક્ટર કચેરી અને અન્ય સરકારી કચેરીઓમાં, શાળા-કોલેજોમાં
‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવશે. વધુમાં આ પ્રતિજ્ઞાને વ્યાપક સ્વરૂપે લઈ જવા માટે My.Gov.પોર્ટલ પરથી મોટી સંખ્યામાં ઓનલાઈન પ્રતિજ્ઞા લઈ શકે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિકાસ સપ્તાહની વિધિવત શરૂઆત કરવામાં આવશે.
તા. ૦૭/૧૦/૨૦૨૫ યુવા સશક્તિકરણ કાર્યક્રમ
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, તા. ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગશીપ યોજનાઓનું પ્રદર્શન, સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન, શાળા અને કોલેજમાં નિબંધ સ્પર્ધાનું આયોજન, વ્યાખ્યાન માળા,અગત્યના લોકેશન પર પદયાત્રા, દરરોજ “નમોત્સવ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તીલક વર્મા સાથે પોડકાસ્ટ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા ખાતે જેમાં ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે અને વિકસીત ભારત@૨૦૪૭ના સંકલ્પને પૂર્ણ કરવા યુવાનોની સહભાગિતા વિષય પર મનોમંથન-ચિંતન કરાશે. આ ઉપરાંત અન્ય ૫૦ સ્થળોએ પણ આ પ્રકારના કાર્યક્રમ સપ્તાહ દરમિયાન આયોજન કરાશે.
આત્મનિર્ભર ભારત
પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ GST Reforms અને સહકાર ક્ષેત્રને આપેલા લાભ માટે સહકારી સંસ્થાના સભાસદો દ્વારા વડાપ્રધાનશ્રીને એક કરોડથી વધુ પોસ્ટકાર્ડ દ્વારા આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમનું તા. ૦૭ ઓક્ટોબરના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનશ્રીના દૂરંદેશી માર્ગદર્શનમાં દેશમાં વિકાસ માટે લેવાયેલ વિવિધ પગલાઓથી છેવાડાના વ્યક્તિ સુધી થયેલ સામાજીક-આર્થિક લાભ અને દેશમાં આવેલ પરિવર્તન માટે વડાપ્રધાનશ્રીને આભાર વ્યક્ત કરતા સહકાર વિભાગ દ્વારા 1 કરોડથી વધું પોસ્ટ કાર્ડ તૈયાર કરાયા છે. આત્મનિર્ભર ભારત, ગર્વ સે કહો સ્વદેશી હે, આયુષ્માન ભારત, નાણાકીય સમાવેષિકરણ અને DBT, સોલાર રૂફટોપ યોજના, તા. ૨૨ સપ્ટેમ્બરથી આવેલ GST સુધારા જેવા વિવિધ વિષયો પર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.
દર વર્ષે પોસ્ટ વિભાગ દ્વારા ૧.૫૦ કરોડ પોસ્ટ કાર્ડ છાપવામાં આવે છે જ્યારે માત્ર ગુજરાતમાં સહકાર ક્ષેત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા ખુબ જ ટુંકાગાળામાં ૧ કરોડથી વધુ પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા તે અભૂતપૂર્વ સિધ્ધિ છે.
તા. ૭ ઓક્ટોબરના રોજ પોસ્ટકાર્ડના પ્રદર્શનનું પણ આયોજન અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે, જેને નાગરિકો નિહાળી શકશે.
આ ઉપરાંત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા પણ રાજયની જુદી જુદી કૉલેજોના વિધાર્થીઓએ વડાપ્રધાનશ્રીના સ્વદેશી અભિયાન, ઓપરેશન સિંદુર, જી.એસ.ટી. ક્રાન્તી અને ભારતને અગ્રેસર બનાવવાની પહેલને આવકારી પોસ્ટકાર્ડ દ્વારા તેમની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.
જેમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કુલ ૪.૫૦ લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.
આ ઉપરાંત ૧૦૦ કૉલેજ / યુનિવર્સિટીમાં સ્વદેશી અભિયાન અંતર્ગત વ્યાખ્યાયનોનું પણ આયોજન કરાયું છે, જે પૈકી ૬ર વાખ્યાનો પૂર્ણ થયા છે. જેમાં તજજ્ઞ વકતાઓ દ્વારા વિધાર્થીઓને સ્વદેશી અપનાવવાથી રાજય અને રાષ્ટ્રને સમૃધ્ધ અને ઉત્કૃષ્ટ બનાવવાના સોપનો બતાવવામાં આવ્યા છે.
તા. ૦૮/૧૦/૨૦૨૫ રોજગાર મેળો કાર્યક્રમ
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ સાથે અન્ય કુલ ૩૩ જિલ્લાઓમાં રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાશે.
જેમાં ૫૦ હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ૨૫ હજારથી વધુ ITI વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્લેસમેન્ટ ઓફર પત્રનું વિતરણ પણ કરવામાં આવશે.
વધુમાં, ITIના અપગ્રેડેશન માટે ઉદ્યોગગૃહો સાથે ૧૦૦થી વધુ MOUs પણ કરવામાં આવશે.
તા. ૦૯/૧૦/૨૦૨૫ અને ૧૦/૧૦/૨૦૨૫ મહેસાણા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન
પ્રવક્તા મંત્રીશ્રીએ વિગતો આપતા કહ્યું કે, MSME કોન્કલેવ, ઉદ્યમિતા સહાય મેળા, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ, રિવર્સ બાયર્સ સેલર મીટ, પ્રાદેશિક પુરસ્કારો, અગ્રણી ઉદ્યોગપતિઓ, બિઝનેસ લીડર્સ તેમજ યુવાનો તેમની વિકાસ યાત્રાનો અનુભવ તેમજ આ પ્રદેશો વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝનમાં કેવી રીતે યોગદાન આપી શકે તેના વિશે ચર્ચા, સ્ટાર્ટઅપ હેકાથોન, સ્ટાર્ટઅપ્સ દ્વારા પિચિંગ સેશન તેમજ ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે.
તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૫
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ, પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ વિશે માર્ગદર્શન, વિવિધ યોજનાઓ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું સન્માન, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને લગતી જાહેરાત, રાજ્યની તમામ ગ્રામ પંચાયત ખાતે પંચાયત ઘરનું સામુહિક ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ ઉપરાંત તા. ૧૫/૧૦/૨૦૨૫ના રોજ રથયાત્રા સમાપન સમયે દરેક જિલ્લામાં ૧ કરોડથી ઓછી રકમના કામોના લોકાર્પણ / ખાતમુહૂર્ત તથા ગ્રામીણ વિસ્તાર માટે માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી જિલ્લા દીઠ એક વિકાસ રથનું આયોજન તેમજ તમામ સરકારી સંસ્થાઓમાં “સ્વચ્છતા શપથ” લેવડાવવામાં આવશે.
તા. ૧૨ અને ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫ રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ દિવસે નગરપાલિકાઓના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ, સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન, તમામ મહાનગરપાલિકાઓમાં સ્થાનિક કલાકારોના સહયોગથી રિસાઇકલ કરેલી વસ્તુઓનો ઉપયોગ કરી સાર્વજનિક સ્થાપત્યનું સર્જન તેમજ તમામ મહાનગરપાલિકાઓના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવાલો પર ભીંત ચિત્રો બનાવવા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ કૃષિ વિકાસ દિન/ રવિ કૃષિ મહોત્સવ
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ, રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદો અને ખેડૂત માર્ગદર્શન, કૃષિ પ્રદર્શનો, પશુ આરોગ્ય મેળા, નવીન ટેકનોલોજી આધારિત પ્રદર્શનો – સ્ટોલ જેવી અનેકવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. જેમાં રૂ. ૧ કરોડથી રૂ. ૨૫ કરોડ સુધીના રૂ. ૩,૩૨૬ કરોડના કામોનો સમાવેશ થાય છે.
વધુમાં, પ્રવક્તા મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, તા. ૭ થી ૧૫ ઓક્ટોબર, દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા પણ Hackathon, નિબંધ સ્પર્ધા, ભીંત ચિત્રો, ક્વિઝ સ્પર્ધા, 100 લેક્ચર સિરીઝ, વેબિનાર, વર્કશોપ & રિસર્ચ પેપર, લખપતિ દીદી અને ડ્રોન દીદીના યુનિવર્સિટીમાં સેમીનાર તેમજ દસ “Swami Vivekananda Competitive Examination Study Centre”નાં લોકાર્પણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગ
વિકાસ સપ્તાહ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અતિજોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવતી અંદાજિત ૧૭૦૦ સગર્ભા માતાઓની ઓળખ, કાઉન્સેલિંગ અને બર્થ માઇક્રો પ્લાન અંગેની સમજ, નમોશ્રી યોજના અંતર્ગત અંદાજિત ૧૦,૦૦૦થી વધુ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન તથા અંદાજીત રૂ. ૭ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ અંદાજિત ૬૦૦૦ થી વધુ લાભાર્થીઓને અંદાજિત રૂ ૧.૫ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું કરવામાં આવશે.
આ ઉપરાંત વય વંદના યોજના અંતર્ગત – ૭૦થી વધુ ઉંમરના ૧૪૦૦૦ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ, વિકાસ સપ્તાહ દરમ્યાન સ્થાનિક ધારાસભ્યશ્રી તથા પદાધિકારીશ્રી દ્વારા ટી.બી.ના નિદાન માટેના ૧૮૦ TrueNAT
મશીનોના લોકાર્પણનો કાર્યક્રમ, રાજ્યની ૨૪ મેડીકલ કોલેજ થકી CPR (cardiopulmonary resuscitation) તાલીમનું
આયોજન, ૧૦મી ઓક્ટોબર, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પર, માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ કાર્યક્રમોનું આયોજન, જિલ્લા દીઠ એક CHC એમ કુલ 34 મોડેલ CHC બનાવવા સંકલ્પ, પોડકાસ્ટ મારફતે આરોગ્ય જાગૃતિ, સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન(SNSPA) અંતર્ગત કરેલ કામગીરીનું E book મારફતે લોન્ચિંગ કરવામાં આવશે.
વધુમાં, આ સપ્તાહ દરમિયાન માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા 24 વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વના શીર્ષક હેઠળની પુસ્તિકાનું પ્રકાશન, My.Gov.India પોર્ટલ પરથી વિકાસ સપ્તાહ ક્વિઝ કમ્પીટીશનનું આયોજન, My.Gov.India પોર્ટલ પરથી ફોટો અને રીલ કમ્પીટીશનનું આયોજન કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.