હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ

નવી દિલ્હી, ગ્રેટર નોઇડાના દનકૌર કોતવાલી ક્ષેત્રમાંથી પસાર થતા યમુના એક્સપ્રેસ-વે પર ગુરુવારે રાત્રે એક ચાલુ બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જોકે, બસના ડ્રાઇવરની સમયસૂચકતા અને પોલીસની મદદથી બસમાં સવાર લગભગ ૫૦ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, એક ખાનગી બસ પંજાબના લુધિયાણાથી આગરા તરફ જઈ રહી હતી.
બસ જ્યારે ગ્રેટર નોઇડાથી યમુના એક્સપ્રેસ-વે પર હતી, ત્યારે બસની છત પર રાખેલા સામાનમાં અચાનક આગ લાગી ગઈ હતી. શરૂઆતમાં આગ લાગવાનું કારણ ફટાકડા હોવાનું માનવામાં આવે છે.
બસના ડ્રાઇવરને જ્યારે આગ લાગ્યાની જાણ થઈ, ત્યારે તેણે તુરંત એક્સપ્રેસ-વે પર જ બસને રોકી દીધી હતી. આગને કારણે બસની અંદર બેઠેલા ૫૦ જેટલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તમામ મુસાફરો ઝડપથી બસમાંથી બહાર નીકળી ગયા હતા. બાદમાં ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે દનકૌર પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, બસની છત પર રાખેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે. દનકૌર કોતવાલીના પ્રભારી મુનેન્દ્ર સિંહે જણાવ્યું કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ મામલે તપાસ ચાલી રહી છે.SS1MS