લોખંડની પાઈપમાં ફટાકડા ફોડવા જતાં ૧૬ વર્ષીય સગીરાનું કરુણ મોત
પ્રતિકાત્મક
પાઈપનો ટુકડો સગીરાના કપાળ પર વાગ્યો હતો
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં ફટાકડા સગીરાનું કરુણ મોત નીપજયું હતું. ત્રણ યુવકો લોખંડની પાઈપમાં ફટાકડા ભરીને ફોડી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડા ભરેલી લોખંડની પાઈપનો ટુકડો ઉડીને સગીરાના કપાળ પર વાગ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
વિગત મુજબ, ૧૬ વર્ષીય સગીરા હીના પુરોહિત પાટલોડિયાની નેશનલ સ્કૂલમાં ધોરણ ૧૧મા અભ્યાસ કરતી હતી. આરોપીને તેના ૪૨ વર્ષીય પિતા મિનેશભાઈ પુરોહિતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ૨૧ ઓક્ટોબરની રાત્રે તેમની પુત્રી હીના તેની મિત્ર સાથે પટેલ ડેરી પાર્લર પાસે ઊભી હતી. આ સમયે એક મોટો વિસ્ફોટ સંભળાયો હતો અને મદદ માટે બૂમો પડતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ત્યાં તેમણે જોયું કે તેમની દીકરીના કપાળમાંથી લોહી વહી રહ્યું હતું અને તે બેભાન અવસ્થામાં પડી હતી. સગીરાને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ૨૨ ઓક્ટોબરના રોજ સાંજે ૮.૨૫ વાગ્યાની આસપાસ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
ફરિયાદી મિનેશભાઈએ આસપાસની સોસાયટીઓના સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા બાદ ત્રણ યુવકો પર આરોપ લગાવ્યો હતો. ફૂટેજમાં તે જ સોસાયટીના રહેવાસી ૧૯ વર્ષીય નીલ હિરેનભાઈ રામી અને બે ૧૩ વર્ષના સગીરો ઓમ કુંતેશ્વર મહાદેવ મંદિરની સામેના જાહેર રોડ પર બેદરકારીપૂર્વક સળગાવવામાં આવેલા લોખંડના પાઈપમાં ફટાકડા ભરીને ફોડતા જોવા મળ્યા હતા.
સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રર્ણય યુવકો સામે બેદરકારીભર્યું કૃત્ય કરીને મૃત્યુ નીપજાવવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિવાળીની ઉજવણીમાં ફટાકડા ફોડવાની બેદરકારીભરી રીતના કારણે એક સગીરાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
