મહિલા RFOના પતિને પકડવા પોલીસે ૧૦૦૦થી વધુ CCTV ફુટેજ તપાસ્યા
સુરત RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરાયો-સોનસ સોલંકી હજી પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે
સુરત, સુરત શહેર ના RFO સોનલ સોલંકી પર ફાયરીંગ કેસના આરોપીને ઝડપવા માટે જોખાથી નાસિક અને સુરતથી સાપુતારા સુધીના ૧૦૦૦ CCTV ચેક કર્યા હતા. પોલીસથી બચવા બંને આરોપીઓ ૨૫૦૦ કિમી સુધી ભાગ્યા હતા. જોકે, આ ઘટનામાં ઈજાગ્રસ્ત સોનસ સોલંકી હજી પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે
સુરત શહેર વન ભવન ખાતે ફરજ બજાવતા ઇર્હ્લં સોનલ સોલંકી પોતાના બાળકને કારમાં લઈને સવારે શાળાએ મૂકવા જઈ રહ્યા હતા, તે દરમિયાન કામરેજ તાલુકાના વાવ જોખા રોડ પર અજાણ્યા ઈસમે કાર ઉભી રખાવી નજીકથી કાન અને નાકના વચ્ચે ગોળી ધરબી દઈ ભાગી ગયો હતો.
સ્થળ પર દોડી આવેલા સ્થાનિકોએ લોહી લુહાણ બેભાન અવસ્થામાં સોનલ બેનને કામરેજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબિયત નાજુક જણાતા સુરત શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓના અલગ અલગ રિપોર્ટ કરાતા ગોળી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરત ગ્રામ્યના એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું કે, પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે સોનલ સોલંકી અને નિકુંજ ગૌસ્વામી વચ્ચે છેલ્લા લાંબા સમયથી કૌટુંબિક વિખવાદ ચાલી રહ્યો છે. એકબીજાએ પોલીસ મથકોમાં ફરિયાદો પણ આપેલી છે. ત્યારે પોલીસે નિકુંજ ગૌસ્વામીનો સંપર્ક કરાતા તેનો સંપર્ક થઈ શક્્યો ન હતો અને તે ભૂર્ગભ ઉતર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સોનલ સોલંકીના પરિવારજનોએ આ ઘટનાને અંજામ નિકુંજ ગૌસ્વામીએ આપ્યો હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે નિકુંજને ઝડપવા તજવીજ હાથ ધરી હતી.
નિકુંજ ગૌસ્વામીને ઝડપવા માટે પોલીસે ૭ જેટલી ટીમો બનાવી હતી અને જોખાથી લઈને નાસિક અને સુરત થી લઈને સાપુતારા સુધીના ૧૦૦૦ થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.જેમાં નિકુંજ ગૌસ્વામી રાજ્યની બહાર ભાગ્યો હોવાનું સામે આવ્યું હતું.
જોકે પોલીસ પકડી લેશે અને બરોબર ટ્રીટમેન્ટ કરશે તેવા ભયથી નિકુંજ ગૌસ્વામી ઘટનાના ૬ દિવસ બાદ સુરતની કઠોર કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યો હતો. જોકે કઠોર કોર્ટ અરજી નકારી કાઢતા કોર્ટ પરિસરની બહાર નીકળતા જ પોલીસે નિકુંજને ઉઠાવી લીધો હતો. જોકે ગણતરીની મિનિટોમાં જ સોપારી લેનાર ઇસમ આવતા પોલીસે તેને પણ ઉચકી લીધો હતો.
શરૂઆતમાં બન્ને આરોપીઓએ પોલીસને ગોળ ગોળ જવાબ આપ્યો હતો. પોલીસે વ્યવસ્થિત સરભરા કરતા બન્નેએ ગુનો કબૂલ કર્યો હતો અને જણાવ્યું હતું કે કૌટુબિક વિખવાદને લઈને નિકુંજ ગૌસ્વામીએ મિત્ર ઈશ્વર પૂરી માગુપીરી ગૌસ્વામીને સોનલની સોપારી આપી હતી અને ફૂલ પ્રૂફ પ્લાન ઘડી દીધો હતો.
