562 રજવાડાઓને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલનો ‘લોખંડી’ સંકલ્પ
અખંડ ભારતના આર્કીટેક: સરદાર પટેલ
અખંડ ભારતનો નકશો માત્ર રાજકીય દસ્તાવેજ નહીં પણ સરદારના લોખંડી સંકલ્પનું જીવંત ઉદાહરણ
Ø રજવાડાના વિલીનીકરણથી આધુનિક ભારત માટે મજબૂત, એકીકૃત અને કેન્દ્રીય રાષ્ટ્રનો આધાર તૈયાર થયો
Ø સરદારની દૂરંદેશીતાથી ભારત આજે એક મજબૂત લોકશાહી રાષ્ટ્ર તરીકે વિશ્વમાં સમક્ષ ઉભર્યું
Ø કુનેહ, મુત્સદ્દીગીરી અને મક્કમતાનો સમન્વય: ‘પ્રિવી પર્સ‘ અને ‘જોડાણ પત્ર‘ના દસ્તાવેજોએ ભારતનો ઇતિહાસ બદલ્યો
આઝાદી પછી ભારતને સ્વતંત્રતા તો મળી ગઈ પણ દેશનું હ્રદય હજુ અનેક ટૂકડાઓમાં વહેંચાયેલું હતું. ભારતીય ઉપખંડમાં ફેલાયેલા ૫૬૨ દેશી રજવાડાંઓનું ભવિષ્ય એક પડકાર હતો. બ્રિટિશ સત્તાએ આઝાદીની સાથે જ આ રજવાડાંઓને સ્વતંત્ર રહેવાનો વિકલ્પ આપીને ભારતને અસંખ્ય નાના ટુકડાઓમાં વહેંચવાની રમત રમી હતી. જો આ રજવાડાંઓ સ્વતંત્ર રહી જાત, તો ભારતમાં કાયમી અરાજકતા અને અસ્થિરતા ફેલાઈ જતી. આ સ્થિતિમાં એક એવું વ્યક્તિત્વ ઉભું હતું, જેની આંખોમાં ભારતનો એકીકૃત નકશો પહેલેથી જ દેખાતો હતો અને તે હતા અખંડ ભારતના આર્કીટેક આપણા સરદાર વલ્લભભાઈ પટેલ.
આ કપરી સ્થિતિમાં, ભારતીય સંઘની સુરક્ષા અને એકતાની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલના ખભા પર આવી. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે તેમણે અને તેમના સચિવ વી.પી. મેનન સાથે મળીને એક એવી અજોડ વ્યૂહરચના અપનાવી, જેમણે અખંડ ભારતનું નિર્માણનું કાર્ય શાંતિ અને સફળતાપૂર્વક પાર પાડ્યું.
સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી નીતિની સૌથી મોટી અસર એ છે કે આજે ભારત એક સંયુક્ત અને અખંડિત રાષ્ટ્ર છે. જો પટેલે આ વિલીનીકરણ સફળતાપૂર્વક ન કર્યું હોત, તો દેશ ૫૦૦થી વધુ નાના, અસ્થિર અને સંઘર્ષિત દેશોમાં વહેંચાઈ જાત. વહીવટી અને આર્થિક એકતાને કારણે રાષ્ટ્રીય સ્તરની યોજનાઓનો અમલ સરળ બન્યો, જેણે આધુનિક ઔદ્યોગિકીકરણને વેગ આપ્યો. સરદાર પટેલની આ નીતિએ આધુનિક ભારત માટે એક મજબૂત, એકીકૃત અને કેન્દ્રીયકૃત રાષ્ટ્રનો આધાર તૈયાર કર્યો. તેમની દૂરંદેશીના પરિણામે જ આજે ભારતે એક સ્થિર અને મજબૂત લોકશાહી તરીકે વિશ્વ સમક્ષ પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે.
માત્ર થોડા દિવસોમાં રાજવાડાંઓનું શાંતિપૂર્ણ વિલીનીકરણ એ વિશ્વ ઈતિહાસમાં દુર્લભ ઘટના તરીકે કંડારાઈ છે. આ એકીકરણથી દ્વિ-વહીવટી વ્યવસ્થા દૂર થઈ, કોમન માર્કેટ અને મુક્ત વેપાર શક્ય બન્યા, રાષ્ટ્રીય આયોજન માટે માર્ગ ખુલ્યો અને કરોડો નાગરીકોને બંધારણીય અધિકારો પ્રાપ્ત થયા. આ વિલીનીકરણના પરિણામ સ્વરૂપે ભારતમાં આંતરિક સ્થિરતા અને મજબૂત કેન્દ્રશાસિત માળખું શક્ય બન્યું.
માત્ર બે વર્ષમાં ૩૦૦થી વધુ રાજવાડાઓ જોડાયા ત્યારે તે માત્ર વહીવટનો ચમત્કાર નહીં પણ માનસિક યુદ્ધ, માનવીય સંવેદના અને અડગ રાષ્ટ્રવાદનો ચમત્કાર હતો. તો ચાલો જાણીએ ભારતને અખંડ રાષ્ટ્ર બનાવવાની ગાથા વિશે.
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે પટેલે અને તેમના સચિવ વી.પી. મેનને રાજકીય માનસશાસ્ત્ર, દૂતકૌશલ્ય અને વહીવટી કળાથી દુરંદેશી વ્યૂહરચના ગોઠવી દેશને એક કર્યો હતો. પરંતુ જ્યાં સમજાવટ કામ ન લાગી ત્યાં પટેલની લોખંડી મક્કમતાએ ઇતિહાસ બદલી નાખ્યો.
સરદાર પટેલે રાષ્ટ્રહિતમાં રજવાડાંઓના વિલીનીકરણ માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કર્યો હતો. સૌપ્રથમ, તેમણે રાજાઓ સાથે અંગત સંબંધો રાખી તેમને સમજાવ્યું કે, ભારત સાથે જોડાવાથી જ તેમના રાજ્ય અને પ્રજાનું ભવિષ્ય સુરક્ષિત છે. આ મુત્સદ્દીગીરીના ભાગરૂપે, તેમણે રાજાઓનું માન જાળવી રાખવા અને આર્થિક સુરક્ષા આપવા માટે ‘પ્રિવી પર્સ-વાર્ષિક સાલિયાણાની વ્યવસ્થાની ખાતરી આપી હતી.
આ ઉપરાંતના રાજાઓને તેમણે ‘જોડાણ પત્ર‘ નામનો દસ્તાવેજ રજૂ કર્યો હતો. આ પત્રમાં ત્રણ સંરક્ષણ, વિદેશી બાબતો અને સંચારના વિષયનો સમાવેશ કર્યો હતો. તેમાં તેમના રાજ્યો ભારત સરકારને સોંપે તેવી જોગવાઈ હતી. બાકીના તમામ અધિકારો રાજા પાસે જ રહેતા. આનાથી મોટાભાગના રાજાઓને લાગ્યું કે તેમનું સાર્વભૌમત્વ જળવાઈ રહેશે. આ ઉપરાંત સરદારે તેમની કુનેહથી હૈદરાબાદ, કશ્મીર અને જૂનાગઢને પણ અખંડ ભારતમાં જોડ્યા હતા.
આજે જે અખંડ ભારતનો નકશો આપણે જોઈએ છીએ તે માત્ર રાજકીય દસ્તાવેજ નહીં સરદારના લોખંડી સંકલ્પનું જીવતું જીવંત ઉદાહરણ છે. તેમની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી ભારતની એકતાનો એટલસ છે જે આપણને એકાગ્રતા, નક્કરતા અને દુરંદેશીથી અશક્યને પણ શક્ય બનાવાની પ્રેરણા આપે છે.
