મમતા બેનરજીના નિવેદન પર ભડકી ભાજપ સાંસદ કંગના
(એજન્સી) નવી દિલ્હી,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ મામલે ભાજપ અને ચૂંટણી પર પર નિશાન સાધ્યા બાદ ભાજપ સાંસદ કંગના રણૌતે રોષ વ્યક્ત કર્યો છે.
મમતાએ આક્ષેપ કર્યો છે કે, ‘ચૂંટણી પંચ હવે ભાજપ કમિશનમાં ફેરવાઈ ગયું છે. ૨૦૨૬ની બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા બે મહિનાની અંદર બળજબરીથી જીંઇ કવાયત ઉતાવળમાં શા માટે પૂર્ણ કરાઇ રહી છે?’ તો કંગનાએ પણ કહ્યું છે કે, દેશ તેમની ધમકીઓથી ડરવાનો નથી.
આ સાથે કંગનાએ પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું છે.મમતા નિવેદન બાદ કંગનાએ કહ્યું છે કે, ‘મમતા બેનરજીની ધમકીઓથી દેશ ડરવાનો નથી. આખો દેશ ઘૂસણખોરોને હટાવવા માંગે છે. જે રીતે શરીરમાં કેન્સર હોય છે, તેવી જ રીતે દેશમાં આ ઘૂસણખોરો હોય છે, તેથી આખો દેશ તેમને હાંકી કાઢવા માંગે છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરમાં ધ્વજા આરોહણ કરાયા બાદ પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ધ્વજા આરોહણ અંગે પ્રતિક્રિયા આપ્યા બાદ ભાજપ સાંસદ કંગનાએ કહ્યું કે, ‘પાકિસ્તાન ગભરાઈ ગયું છે, કારણ કે તેમનો દેશ દિવસેને દિવસે ડુબી રહ્યો છે, ભીખ માંગી રહ્યું છે. આપણો દેશ વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં સૌથી મોટું અર્થતંત્ર બની જશે.’
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ૨૫ નવેમ્બરે મતદાર યાદીમાં ચાલી રહેલા એસઆઇઆર માટે ચૂંટણી પંચની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે રાજ્યના મતુઆ બહુમતીવાળા વિસ્તારોના મતદારો જો નાગરિકતા સંશોધન એક્ટ હેઠળ પોતાને વિદેશી જાહેર કરે છે તો તેમને તરત જ ડિલિસ્ટ કરી દેવામાં આવશે. લોકોને સંબોધતા મમતાએ વચન આપ્યું હતું કે, જો બંગાળમાં તેમને પડકારવામાં આવશે તો સમગ્ર દેશમાં ભાજપના પાયાને હચમચાવી નાખવામાં આવશે.
