ભારતના ઘણા રાજ્યોમાં ચક્રવાતની અસર
(એજન્સી)નવી દિલ્હી, ભારતીય હવામાન વિભાગએ ચક્રવાત સેન્યાર અંગે અપડેટ જારી કર્યું છે. ભારતના ઘણા રાજ્યો આ ચક્રવાતની અસરોનો અનુભવ કરી શકે છે. આઈએમડી અનુસાર, ચક્રવાત સેન્યાર ઇન્ડોનેશિયાના દરિયાકાંઠાને પાર કર્યા પછી દક્ષિણપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આગામી બે દિવસમાં તે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, માહે અને રાયલસીમાને અસર કરે તેવી શક્યતા છે.
વાવાઝોડાની પ્રવૃત્તિ તીવ્ર બનતા આઈએમડી એ આ રાજ્યો અને સંભવિત વિસ્તારોમાં ચેતવણી જારી કરી છે. ચક્રવાત સેન્યાર જે હાલમાં મલાક્કા સ્ટ્રેટ અને ઉત્તરપૂર્વીય ઇન્ડોનેશિયા પર છે, તે સૌપ્રથમ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર અસર કરશે.
આઈએમડી એ ૨૭ નવેમ્બરના રોજ ભારેથી ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે. આઈએમડી અનુસાર, ચક્રવાત સેન્યાર ૨૯-૩૦ નવેમ્બરની આસપાસ તમિલનાડુ અથવા આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થઈ શકે છે, જેના કારણે ભારે વરસાદની અપેક્ષા છે.
આ સમયગાળા દરમિયાન, ૮૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
મલક્કા સ્ટ્રેટ, મલેશિયા, દક્ષિણ આંદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ પર પણ ભારે પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જોરદાર પવન અને દરિયાઈ મોજા સામે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
