અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ: કૂલિંગની પ્રક્રિયા હજી ચાલુ
અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, પાંચથી વધુ દુકાનો લપેટમાં
(એજન્સી), અમદાવાદ: અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલ એક વ્યસ્ત કોમ્પ્લેક્સમાં બુધવારે બપોરે અચાનક ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડી જ વારમાં પાંચથી વધુ દુકાનો તેની ચપેટમાં આવી ગઈ હતી. ધૂમાડાના કાળા ગોટેગોટા દૂર સુધી દેખાતા થતાં આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.
માહિતી મળતા જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ ફાયર ટીમો આગ પર કાબૂ મેળવવાના સતત પ્રયાસોમાં લાગી છે. પ્રાથમિક માહિતી મુજબ, આગ કોમ્પ્લેક્સની ગ્રાઉન્ડ ફ્લોર પરથી શરૂ થઈ હોવાનું મનાય છે, તેમ છતાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણવા મળી શક્યું નથી.
નેશનલ હાઈવે નં 8 પર અમદાવાદ નારોલ – નરોડા વચ્ચે વિરાટનગર વિસ્તારમાં આવેલી દુકાનો વિકરાળ આગની ઝપટમાં આવી ગઈ.#AhnedabadFire #AhnedabadCity pic.twitter.com/LFRxweyVbh
— Bankim Patel (@bankim1975) December 2, 2025
કોમ્પ્લેક્સ મુખ્ય રસ્તા પાસે હોવાના કારણે વાહન વ્યવહાર પણ કેટલાંક કલાક માટે પ્રભાવિત થયો હતો. સ્થળ પર પોલીસ દળ સહિત ઘટનાસ્થળે ઇમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે. આગને કારણે થયેલા આર્થિક નુકસાનનો અંદાજ હાલ લગાડવામાં આવી રહ્યો છે, પરંતુ કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી.
ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, “આગ પર મોટાભાગે નિયંત્રણ મેળવી લેવાયું છે, પરંતુ કૂલિંગની પ્રક્રિયા હજી ચાલુ છે. આગ કયા કારણસર લાગી તે અંગેની તપાસ હાથ ધરવામાં આવશે.”
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ લાગતાં જ દુકાન માલિકો પોતાનું સામાન બચાવવા દોડી આવ્યા હતા, પરંતુ ધૂમાડાની ઘનતાને કારણે અનેક લોકો દૂરથી જ આખી ઘટનાનો વિડિયો ઉતારી રહ્યા હતા.

