રેલવે ટિકિટ બારી પરથી તત્કાલ ટિકિટ માટે પણ ઓટીપી ફરજિયાત બનશે
નવી દિલ્હી, રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરાવવા માટે મુસાફરોએ હવે તેમના મોબાઇલ ફોન પર પ્રાપ્ત થયેલ વન-ટાઇમ પાસવર્ડ આપવો પડશે. રેલવેની છેલ્લી ઘડીની ટિકિટ બુકિંગની આ સુવિધાના દુરુપયોગને રોકવા માટે રેલવેએ આ હિલચાલ કરી છે.
હાલમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે ઓટીપી ફરજિયાત છે.મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને ૧૭ નવેમ્બરે પ્રાયોગિક ધોરણે રિઝર્વેશન કાઉન્ટર પરથી બુકિંગ માટે ઓટીપી-આધારિત તત્કાલ ટિકિટિંગ સિસ્ટમ શરૂ કરી હતી.
તેની શરૂઆત થોડી ટ્રેનોથી થઈ હતી અને ટૂંક સમયમાં આ સંખ્યા વધારી ૫૨ કરાશે. આગામી થોડા દિવસોમાં બાકીની તમામ ટ્રેનો માટે કાઉન્ટર પર આ રિઝર્વેશન સિસ્ટમ લાગુ કરાશે.
સામાન્ય રેલવે મુસાફરો માટે છેલ્લી ઘડીની ટિકિટ બુકિંગ સુવિધાને વધુ સાનુકૂળ બનાવવા માટે ઓટીપી આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમની દરખાસ્ત કરાઈ છે.આ સિસ્ટમ હેઠળ રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરને રિઝર્વેશન ફોર્મમાં આપેલા મોબાઇલ નંબર પર એક ઓટીપી મળશે.
આ ઓટીપીના વેરિફિકેશન પછી જ ટિકિટ કન્ફર્મ થશે.અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ્ય તત્કાલ સુવિધાના દુરુપયોગને રોકવા અને સાચા મુસાફરોને ટિકિટો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ સિસ્ટમથી ટિકિટ બુકિંગમાં પારદર્શકતા આવશે તથા મુસાફરોની સુવિધા અને સુરક્ષામાં વધારો થશે.
છેલ્લા કેટલાંક મહિનામાં રેલ્વે મંત્રાલયે મુસાફરોને ટિકિટ રિઝર્વેશનની વાજબી સુવિધા મળે અને બુકિંગ એજન્ટો પોતાના ફાયદા માટે સિસ્ટમનો દુરુપયોગ ન કરે માટે કેટલાંક પગલાં લીધા છે. જુલાઈમાં રેલ્વે મંત્રાલયે દેશભરમાં તત્કાલ સિસ્ટમ હેઠળ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે ઓટીપી દ્વારા આધાર ચકાસણી ફરજિયાત કરી હતી.SS1MS
