ઇન્ડિગોની ૧૦૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ, દેશભરનાં એરપોર્ટ પર અંધાધૂંધી
નવી દિલ્હી, દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ શુક્રવારે ૧,૦૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરતા દેશભરના એરપોર્ટમાં સતત ચોથા દિવસે ભારે અરાજકતા ફેલાઈ હતી. નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિતના મુખ્ય એરપોર્ટ પર હજારો મુસાફરો કલાકો સુધી અટવાઈ ગયા હતાં અને એરપોર્ટ પર બેગેજનો ખડકલો જોવા મળ્યો હતો.
પાયલટની અને અન્ય ક્› મેમ્બરની નોકરીના કલાક મર્યાદિત કરતાં નવા નિયમો મુજબ તેના સ્ટાફની વ્યવસ્થા ન કરી શકતા સ્ટાફની અછતને કારણે આ સમગ્ર કટોકટી ઊભી થઈ હતી.
જોકે દેશભરમાં વિમાન મુસાફરી ઠપ બનતા સરકારે તાત્કાલિક નવા નિયમોમાં ઇન્ડિગોને રાહત આપવાની જાહેરાત કરી હતી. જોકે સરકાર પગલાં લે તે પહેલા ૪ દિવસમાં ૧૨૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ થતાં હજારો મુસાફરો રઝળી પડ્યા હતાં અને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.એવિયેશન ક્ષેત્રમાં સર્જાયેલી આ અભૂતપૂર્વ કટોકટીને કારણે લગ્નના રિસેપ્શનથી લઈને નોકરીના ઇન્ટરવ્યૂ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી રહેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયાં હતાં અને ભારે રોષ જોવા મળ્યો હતો. વળી, અન્ય ફ્લાઈટ્સના ભાડાં આસમાને પહોંચી જતા તેમના માટે ગંતવ્યસ્થાન પર પહોંચવાનું મુશ્કેલ બન્યું હતું.
વિપક્ષે પણ સરકાર પર પ્રહાર કર્યાં હતાં અને સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.મુસાફરોના રોષમાં વધારાને પગલે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય એ પાયલટ્સ માટેના નાઇટ ડ્યૂટીના નવા આકરા નિયમોમાં ઇન્ડિગોને ૧૦ ફેબ્›આરી સુધી મુક્તિ આપી છે. આનાથી આગામી કેટલાક દિવસમાં તબક્કાવાર ધોરણે સ્થિતિ રાબેતા મુજબ થવાની ધારણા છે. નવા નિયમોમાં પાયલટ્સના સાપ્તાહિક આરામના કલાકોને ૧૨ કલાક વધારીને ૪૮ કલાક કરાયા હતાં.
આ ઉપરાંત રાત્રિના સમયે લેન્ડિંગને સાપ્તાહિક છથી ઘટાડીને માત્ર બે કરવામાં આવી હતી. ઇન્ડિગોએ મોટા પાયે ફ્લાઇટ રદ કરવા માટે ખોટી ગણતરી અને આયોજન ખામીઓને જવાબદાર ગણાવી હતી. શુક્રવારે દિલ્હી એરપોર્ટથી ઉપડતી તમામ ૨૩૫ ફ્લાઇટ્સ રદ કરાઈ હતી.
ચેન્નાઇ એરપોર્ટથી પણ ઇન્ડિગોની તમામ ઉપડતી ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ડિગોએ મુંબઈમાં ૧૦૪, બેંગલુરુમાં ૧૦૨ અને હૈદરાબાદમાં ૮૨ ફ્લાઇટ્સ રદ કરી હતી.ઇન્ડિગોની સંચાલકીય કટોકટી વચ્ચે ઘણા વિમાન મુસાફરોએ જણાવ્યું હતું કે દેશની બીજી એરલાઇન્સો તેમના વિમાન ભાડાં અનેક ગણાં વધારી દીધા છે. ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થતાં અનેક મુસાફરોએ બીજી એરલાઇન્સની ટિકિટ બુક કરવા માટે ભારે ધસારો કર્યાે હતો.
ઘણી ફ્લાઇટ્સમાં કોઈ સીટ ખાલી ન હોવાથી મુસાફરી કરવા માટે અધીરા બનેલા લોકોને ભારે રકમ ખર્ચવી પડી હતી. કેટલાંક મુસાફરોએ મુંબઈ-દિલ્હી રૂટ પરની ફ્લાઇટ્સનું ભાડું રૂ.૬૦,૦૦૦ થયું હોવાનો પણ દાવો કર્યાે હતો. વિદેશ પ્રવાસ કરતાં પણ સ્થાનિક હવાઈ પ્રવાસ મોંઘો થઈ ગયો હતો.SS1MS
