૨૪ ડિસેમ્બરે અમદાવાદ ખાતે કરાશે ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ની રાજ્ય કક્ષાની ઉજવણી
Ø ચાલુ વર્ષે ૧૨ હજારથી વધુ ગ્રાહકોની ફરિયાદ સંદર્ભે હકારાત્મક માર્ગદર્શન અપાયું
Ø ગ્રાહક જાગૃતિ અંગે ૨,૫૦૦ જેટલી કન્ઝ્યુમર ક્લબને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૧૯ કરોડથી વધુની નાણાકીય સહાય
Ø ગ્રાહકોની સુરક્ષા બાબતે તોલમાપ તંત્ર દ્વારા દરોડા પાડીને વર્ષ દરમિયાન કુલ ૪,૨૫૪ કેસ કરીને રૂ. ૧.૨૫ કરોડની માંડવાળ ફી વસૂલાઈ
અટલ નેતૃત્વ, અવિરત વિકાસના મંત્ર સાથે રાજ્યમાં ગ્રાહકોને સુરક્ષા અપાવીને ‘સુશાસન’ની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં તા. ૧૮ થી ૨૪ ડિસેમ્બર-૨૦૨૫ સુધી વિવિધ સ્વરૂપે ‘ગ્રાહક જાગૃતિ સપ્તાહ’ની ઉજવણી કરાવવામાં આવી રહી છે.
ગ્રાહકો પોતાના અધિકારો માટે સજાગ થાય, ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય, અયોગ્ય વેપાર તથા ખામીયુક્ત માલ સામે ગ્રાહકોને થતી છેતરપીંડી સામે રક્ષણ આપવાના હેતુ સાથે ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે તા. ૨૪ ડિસેમ્બરના રોજ ભારતભરમાં ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આ વર્ષે ગુજરાતમાં ૨૪ ડિસેમ્બરના રોજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી શ્રી પૂનમચંદ બરંડાની વિશેષ ઉપસ્થિતિમાં સરદારધામ, અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાના ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણીની “Efficient and Speedy disposal through Digital Justice” થીમ નક્કી કરવામાં આવી છે.
વધુમાં રાજ્યના માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો દ્વારા શાળા, કૉલેજ, સરકારી કચેરીઓ, ગ્રામીણ કક્ષાએ વિવિધ સ્થળોએ ગ્રાહક જાગૃત્તિ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નિયામક, ગ્રાહક સુરક્ષા કચેરી ખાતે ‘Consumer Awareness and Protection Unit-CAPU’ નામે રાજ્ય ગ્રાહક સુરક્ષા ટોલ-ફ્રી હેલ્પલાઇન ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ કાર્યરત છે. જ્યાં વર્ષ ૨૦૨૫માં કુલ ૧૨,૭૫૦ જેટલા ગ્રાહકોની ફરિયાદો પરત્વે હકારાત્મક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ઉપરાંત નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર ૧૯૧૫ મારફતે મળેલી ફરિયાદો પૈકી તમામ ફરિયાદોનું સમયમર્યાદામાં ગ્રાહકના હિતમાં નિરાકરણ લાવવામાં આવ્યું છે.
ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં ગ્રાહક સુરક્ષાને વધુ સુરક્ષિત કરવાના લક્ષ્યને ધ્યાને રાખીને ઓછું વજન ધરાવતાં, પેકેટ ઉપર પૂરતી વિગતો દર્શાવેલી ન હોય, MRP કરતાં વધારે ભાવ લેતાં અને સ્ટેમ્પિંગ વગરના સાધનનો વપરાશ કરતાં વિવિધ એકમો પર તોલમાપ તંત્ર દ્વારા દરોડા પાડીને કુલ ૪,૨૫૪ જેટલા કેસો કરીને રૂ. ૧.૨૫ કરોડ જેટલી માંડવાળ ફી વસૂલવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં હાલમાં e-Jagriti પોર્ટલ https://e-jagriti.gov.in પર પોતાની ફરિયાદો ઘરે બેઠા ઓનલાઇન પણ નોંધાવી શકાય છે.
રાજ્યમાં ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વધુ પ્રોત્સાહન આપવા શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગ્રાહક કલ્યાણ અને ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિઓમાં સાંકળીને એમને ગ્રાહક જાગૃત્તિ સંબંધિત શિક્ષણ તેમજ ગ્રાહક તરીકે તેમના અધિકારો-ભૂમિકા અંગે જાણકારી આપવામાં આવી છે.
રાજ્યમાં ગ્રાહક પ્રવૃત્તિને વધુ નાગરીકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૨,૦૦૦ શાળા અને ૫૦૦ કોલેજ કન્ઝ્યુમર ક્લબ એમ કુલ ૨,૫૦૦ ક્લબ તૈયાર કરવામાં આવી છે. વધુમાં ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં કન્ઝ્યુમર ક્લબને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧.૧૯ કરોડની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે.
આ ઉપરાંત કન્ઝ્યુમર્સ અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત દ્વારા ગ્રાહક જાગૃત્તિ અને પ્રચાર-પ્રસારની કામગીરીને વધુ વેગ મળે તે હેતુથી વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૪૧ માન્યતા પ્રાપ્ત ગ્રાહક સુરક્ષા મંડળોને રૂ. ૩૨.૮૨ લાખથી વધુની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે. વધુમાં માન્યતા પ્રાપ્ત મંડળો દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં ગ્રાહક જાગૃતિ માટે કુલ ૧૩૫ જેટલી શિબિરો, ૬૯ જેટલા સેમિનારો, ૪૫ જેટલા વર્કશોપ, ૪૬ જેટલા પરિસંવાદો, ૧૩૮ જેટલી ગ્રામ-શેરી સભા, ૯૬ જેટલા પ્રદર્શનો અને ૭૮ જેટલા નિદર્શનોનું આયોજન કરીને સમગ્ર રાજ્યમાં કુલ ૬૦૭ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરાયા છે.
જ્યારે આગામી સમયમાં ગ્રાહક જાગૃત્તિ અંતર્ગત ભ્રામક જાહેરાતો, ચીજ-વસ્તુઓની ખરીદી પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો, ભેળસેળ યુક્ત ચીજ-વસ્તુઓની ખરીદી ન કરવા બાબતે, ઓનલાઈન નાણાકીય વ્યવહારો વગેરે વિષયો પર ડિજિટલ તેમજ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસારની કામગીરી ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં જિલ્લા પુરવઠા અધિકારીઓ, મદદનીશ નિયંત્રકો, માન્યતા પ્રાપ્ત ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા સ્થાનિક શાળા/કોલેજ કન્ઝ્યુમર ક્લબો ખાતે વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત કુલ ૨૦૦ કરતાં વધુ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.
