નાતાલના અવસરે દિલ્હીના સૌથી મોટા કેથેડ્રલ ચર્ચની મુલાકાત લેતાં PM મોદી
નવી દિલ્હી, નરેન્દ્રભાઇએ આજે નાતાલના અવસરે દિલ્હીના કેથેડ્રલ ચર્ચની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં પ્રાર્થનામાં પણ ભાગ લીધો હતો. આ કેથેડ્રલ માત્ર સૌથી જૂના ચર્ચોમાંનું એક નથી પણ દિલ્હીનું સૌથી મોટું ચર્ચ પણ છે. તેમણે અહીં પ્રાર્થનામાં પણ ભાગ લેવાની સાથે લોકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી.
આ દરમિયાન પીએમ મોદીની સાથે ચર્ચમાં ઘણા અન્ય લોકો પણ હાજર હતા. સોશિયલ મીડિયા પર ચર્ચની તસવીરો પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું, ‘‘દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનમાં નાતાલની સવારની પ્રાર્થનામાં હાજરી આપી.
આ પ્રાર્થના પ્રેમ, શાંતિ અને કરુણાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે. મને આશા છે કે નાતાલની ભાવના આપણા સમાજમાં સંવાદિતા અને ભાઈચારો લાવશે.” કેથેડ્રલ ચર્ચ તેના સુંદર સ્થાપત્ય માટે જાણીતું છે. દર વર્ષે નાતાલ માટે ખાસ સજાવટ કરવામાં આવે છે.
દિલ્હીભરના લોકો ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરવા અને નાતાલની ઉજવણી કરવા માટે આ ચર્ચની મુલાકાત લે છે. પીએમ મોદીએ આ પહેલા પણ ચર્ચની મુલાકાત લીધી છે. બીજી પોસ્ટમાં, પીએમ મોદીએ ચર્ચની તેમની મુલાકાતનો વિડિઓ શેર કર્યો. તેમણે લખ્યું, ‘‘ક્રિસમસ નવી આશા, પ્રેમ અને દયા પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતા લાવે.” ધ કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની સેવાની કેટલીક ઝલક અહીં છે.
