બલૂચિસ્તાનમાં ચીન પોતાની સેના ઉતારવાની તૈયારીમાં
(એજન્સી)નવી દિલ્હી, બલૂચિસ્તાનના પ્રભાવશાળી નેતા મીર યાર બલૂચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને એક ખુલ્લો પત્ર લખીને ગંભીર આશંકા વ્યક્ત કરી છે. પહેલી જાન્યુઆરી-૨૦૨૬ના રોજ લખાયેલા આ પત્રમાં તેમણે ચેતવણી આપી છે કે, ‘જો બલૂચિસ્તાનની સ્વતંત્રતા સેનાઓને નજરઅંદાજ કરાશે, તો આગામી મહિનાઓમાં ચીન અમારા ત્યાં સેના તહેનાત કરી શકે છે.
આ પગલું માત્ર બલૂચિસ્તાન જ નહીં, પરંતુ ભારતની સુરક્ષા માટે પણ મોટો ખતરો સાબિત થઈ શકે છે.’ પોતાને બલૂચિસ્તાનના પ્રતિનિધિ ગણાવતા મીર યાર બલૂચે જણાવ્યું કે, ૬ કરોડ બલૂચ લોકોની ઈચ્છા વિરુદ્ધ જો ચીન સૈનિકો તહેનાત કરશે તો ભારત માટે પણ પડકારો ઉભા થઈ શકે છે.
તેમણે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પાકિસ્તાન અને ચીન વચ્ચેનું ગઠબંધન હવે તેના અંતિમ અને સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. આ પરિસ્થિતિમાં ભારત અને બલૂચિસ્તાન વચ્ચે પરસ્પર સહયોગ અત્યંત જરૂરી છે.
બલૂચ નેતાએ ભારત-બલૂચિસ્તાન વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કર્યો છે અને હિંગળાજ માતાના મંદિર જેવા પવિત્ર સ્થળોને બંને પ્રદેશોની સહિયારી વિરાસત ગણાવી હતી. તેમણે મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ની પણ ભરપૂર પ્રશંસા કરી છે.
