ઇન્દિરા બ્રિજ પર તિરાડો નથી-બે સ્પાન વચ્ચે રાખવામાં આવેલ ‘એક્સપાન્શન જોઈન્ટ’ છે
અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો હોવા અંગેના અહેવાલ અંગે સ્પષ્ટતા
અમદાવાદ, તાજેતરમાં વિવિધ માધ્યમોમાં અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો હોવા અંગેના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે બાબતે પાટનગર યોજના વિભાગ-૩ ના કાર્યપાલક ઇજનેરશ્રી તથા પેટા વિભાગ-૧૮ ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા સંયુક્ત રૂબરૂ ચકાસણી કરતા માલુમ પડેલ છે કે ન્યૂઝમાં દર્શાવેલ વિગતો તદ્દન ખોટી અને ભ્રામક છે.
વાસ્તવમાં જેને તિરાડ ગણાવવામાં આવી રહી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ક્ષતિ નથી પરંતુ બ્રિજના બે સ્પાન વચ્ચે રાખવામાં આવેલ ‘એક્સપાન્શન જોઈન્ટ’ છે, જે ઋતુ મુજબ તાપમાનમાં થતા ફેરફારને કારણે મટીરીયલમાં થતી વધઘટને નિવારવા માટે સિવિલ એન્જિનિયરિંગના નિયમ મુજબ મૂકવામાં આવે છે.
આ બ્રિજની વિભાગ દ્વારા સમયાંતરે તાંત્રિક તપાસ કરવામાં આવે છે અને તાજેતરમાં જ ‘ઇન્ફાઇનાઇટ કન્સલ્ટન્ટ’ દ્વારા કરાયેલ સંપૂર્ણ તાંત્રિક ચકાસણી (Technical Audit) માં પણ બ્રિજની મુખ્ય સંરચનામાં કોઈ ક્ષતિ માલુમ પડેલ નથી,
જેથી આ બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને જાહેર જનતાએ કોઈપણ પ્રકારના ભય વગર તેનો ઉપયોગ કરવો તેમજ આવી પાયાવિહોણી અફવાઓથી દૂર રહેવું. નાયબ કાર્યપાલક ઇજનેર પાટનગર યોજના પેટા વિભાગ- 18 ગાંધીનગર, કાર્યપાલક ઈજનેર પાટનગર યોજના વિભાગ-૩ ગાંધીનગર દ્વારા પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યુ હતું.
Ahmedabad Indira Bridge: અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા ઈન્દિરા બ્રિજ પર ગંભીર તિરાડો જોવા મળતા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. શહેરમાં બ્રિજના રખરખાવ અને સમારકામમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે એક પછી એક બ્રિજમાં ખામીઓ સામે આવી રહી છે.
હાલમાં સુભાષ બ્રિજ બંધ હોવાને કારણે ઈન્દિરા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે, તેવા સમયે જ આ બ્રિજ પર તિરાડો પડવાની ઘટનાએ સુરક્ષા સામે પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે.
