પતંગ મહોત્સવને બહોળો પ્રતિસાદ મળતા કાર્યક્રમનો સમયગાળો લંબાવવામાં આવ્યો
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ તા. 17મી જાન્યુઆરી સુધી માણી શકાશે-વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની હેરિટેજ થીમ પર આધારિત અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોન આકર્ષણનું કેન્દ્ર
‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’માં ભારત ઉપરાંત 50 જેટલા દેશોના 1000થી વધુ પતંગબાજોનો જમાવડો
અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવને સાંપડેલા બહોળા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ને 17 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે 17 જાન્યુઆરી સુધી લોકો પતંગોત્સવની મજા માણી શકશે.
આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ હેરિટેજ થીમ છે. યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું છે. પતંગ મહોત્સવમાં સૌ પ્રથમ વખત અમદાવાદની હેરિટેજની થીમ પર અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં આ વખતે હેરિટેજની થીમના કારણે આધુનિકતાની સાથે સાથે અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશે. અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ પર કરાવવા માટે પોળ વિસ્તારની રેપ્લિકા ઉભી કરવામાં આવી છે. પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા, કલાત્મક બારીઓ અને જૂના પિલ્લર જેવા મટીરીયલનો ઉપયોગ કરીને આખી થીમ તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની નગરજનોને આકર્ષિત કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, અને ગુજરાત સહિત ભારતના 14 રાજ્યોમાંથી 871 પતંગબાજો એમ કુલ મળીને 1,071 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ પ્રકારના રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતાં આયોજનો થકી સમગ્ર ગુજરાતની ઓળખ વૈશ્વિકસ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન ગંતવ્ય તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ની મુલાકાતે આવનારા લોકો માટે અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોનની મુલાકાત સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિઃશુલ્ક રહેશે.
બપોરના 3 વાગ્યા બાદ મુલાકાત માટે પ્રતિ વ્યક્તિ રૂ. 50 ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં સાંજે 07:00 વાગ્યાથી યોજાનારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણી શકાશે. આ માટેનું બુકિંગ ઓનલાઈન ‘બુક માય શો’ની વેબસાઇટ (https://in.bookmyshow.com/) તથા મોબાઈલ એપ્લિકેશન પર કરી શકાશે.
પતંગોત્સવ દરમિયાન ખાદ્ય અને હસ્તકલા સ્ટોલ, કાઇટ ફ્લાયિંગ નું અવલોકન તથા પતંગ વર્કશોપ જેવા આકર્ષણો સૌ કોઇ મુલાકાતી ઓ માટે ખુલ્લા રહેશે.
‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ દ્વારા ગુજરાત ટૂરિઝમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’માં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવવાનું અનુમાન છે તેમ ગુજરાત ટૂરિઝમની યાદીમાં જણાવાયું છે.
