ગળાને નુકશાન બાદ ડોક્ટરે યુવકને અવાજ પાછો આપ્યો
અમદાવાદ: એલજી હોસ્પિટલના તબીબોની ટીમે પોતાનું ગળું કાપી નાખનારા દર્દીની સફળ સર્જરી કરી છે. આ શખ્સે ગળું કાપતાં તેની શ્વાસનળી અને મુખ્ય રક્તવાહિનીઓ તેમજ મજ્જાતંતુ કોશિકા પણ કપાઈ હતી. ડૉક્ટરોએ ઓપરેશન કરીને તેની સ્વર પેટી સાથે જોડાયેલી નસો ફરી જોડીને તેને અવાજ પાછો આપ્યો છે. હોસ્પિટલમાં ૧૫ દિવસથી સારવાર લઈ રહેલા દર્દીની રિકવરી સરસ રીતે થઈ રહી છે અને થોડા જ દિવસોમાં તેને ડિસ્ચાર્જ આપી દેવાશે.
૩૦ વર્ષીય રાજુનાથ યોગીને ૧૯ ઓગસ્ટના રોજ લોહીલુહાણ હાલતમાં એલજી હોસ્પિટલ લવાયો હતો. આર્થિક સંકડાશના કારણે રાજુનાથે પોતાનું ગળું કાપી નાખ્યું હતું. જેના કારણે તેની શ્વાસનળી, ગળાની નસ અને કંઠનાળ કપાઈ ગઈ હતી. દર્દીની ગંભીર સ્થિતિ જોતાં ઈએનટી વિભાગની ટીમે ઓપરેશન પહેલા જરૂરી એવો કોવિડ ટેસ્ટ પણ ના કર્યો અને તેને સીધો જ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા.
આ ઓપરેશન ખૂબ જોખમી હતું કારણકે ડૉક્ટરોને શ્વાસનળી તેમજ રક્તવાહિનીના બંને છેડા જોડાવાના હતા. હોસ્પિટલના ઈદ્ગ્ વિભાગના એચઓડી ડૉ. અતુલ કંસારાએ કહ્યું, આ પ્રકારની પ્રક્રિયામાં એરોસોલ મોટા પ્રમાણમાં મુક્ત થાય છે કારણકે શ્વાસનળી સાથે સીધો સંપર્ક હોય છે. આ કેસની ઈમર્જન્સીને જોતાં અમે તકેદારીના સંભવિત તમામ પગલાં લઈને ઓપરેશન શરૂ કર્યું હતું.” ડૉ. કંસારા સાથે મીતા ભઠાળા, હિરેન દોશી સહિતના તબીબોની ટીમ હતી. રાજુનાથ યોગી સરળતાથી શ્વાચ્છોશ્વાસની ક્રિયા કરી શકે તે માટે ટ્રેકેસ્ટ્રોમી કરવામાં આવી હતી.