ટ્રેનમાંથી દોઢ વર્ષીય બાળકી મળી આવતાં ભરૂચ શિશુગૃહને સોંપાઈ
![A 1.5-year-old girl was found in the train and handed over to the Bharuch orphanage](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/0808-Bharuch-3.jpg)
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં લોકશકિત એકસપ્રેસ ટ્રેન માંથી દોઢ વર્ષીય બાળકી બિનવારસી હાલતમાં મળી આવતાં હાલ તેને ભરૂચ શિશુગૃહને સોંપી રેલ્વે પોલીસે તપાસ આરંભી છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે લોકશક્તિ ટ્રેનમાંથી દોઢ વર્ષીય બાળકી મળી આવી છે.
ટ્રેનના કોચ નંબર બી – ૬ પાસેના કોરીડોરમાં આ બાળકી બિનવારસી હાલતમાં હતી.લોકરક્ષક દળના જવાને બાળકીના માતા – પિતાની ટ્રેનમાં શોધખોળ કરવા છતાં તેઓ મળી આવ્યાં ન હતાં.આખરે આ માસુમ બાળકીને અંકલેશ્વર રેલ્વે પોલીસના હવાલે કરવામાં આવી છે.
૬ ઓગસ્ટના રોજ મુંબઈ તરફ જતી લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન બી – ૬ ના કોચના કોરિડોરમાં માત્ર દોઢ વર્ષની બાળકીને સુતેલી હાલતમાં મુકી તેના વાલીવારસો ફરાર થઈ ગયા હતા.જે બનાવ અંગે કોચના અન્ય મુસાફરોએ પોલીસને જાણ કરી હતી.
આ બાબત પેટ્રોલીંગ ટીમના ધ્યાને આવતાં તેમણે બાળકીના વાલી વારસોની શોધખોળ શરૂ કરી હતી.પણ તેઓ ન મળી આવતાં બાળકીને અંકલેશ્વર રેલવે પોલીસને સોંપવામાં આવી હતી.હાલ આ બાળકીને ભરૂચ શિશુ સંરક્ષણ ગૃહમાં સેજલબેન વોરા અને તેમની તેમને દેખભાળ માટે સોંપવામાં આવી છે.