અમદાવાદમાં SG રોડ પર 42 માળનાં રેસિડેન્શિયલ ટાવર બનશે

અમદાવાદમાં એસજી રોડ પર ૪૨ માળની ગગનચુંબી બિલ્ડિંગ બનશે
ગુજરાતમાં સૌથી ઉંચી ઇમારત હશે
આ કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ નહીં પણ રેસિડેન્શિયલ ટાવર હશે, આ ગગનચુંબી ઈમારતમાં ૪ અને ૫ BHKના ૬૫ એપાર્ટમેન્ટ હશે
અમદાવાદ,ગુજરાતનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર અમદાવાદ હવે વર્ટિકલ ગ્રોથ પણ કરી રહ્યું છે. અમદાવાદના એસ જી રોડ પર એક સૌથી ઉંચી બિલ્ડિંગ આકાર લેવાની છે જે ૪૨ માળની હશે. મહત્ત્વની વાત એ છે કે આ કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ નહીં પણ રેસિડેન્શિયલ ટાવર હશે.
એસ જી રોડ પર પહેલેથી ૪૧ માળની એક કોમર્શિયલ ઈમારતનું પ્લાનિંગ થયું છે. તેના કરતા આ બિલ્ડિંગ એક માળ વધારે ઉંચી હશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ૪૨ માળની ગગનચુંબી ઈમારતમાં ૪ અને ૫ BHKના એપાર્ટમેન્ટ હશે. તેનો પ્રોજેક્ટ કોસ્ટ લગભગ ૨૫૦ કરોડનો રહેવાની શક્યતા છે.
આ બિલ્ડિંગનું બાંધકામ ARK Infra દ્વારા કરવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે ડેવલપરે આ બિલ્ડિંગમાં ઓછામાં ઓછા ૪૨ માળને ડિઝાઈન કર્યા છે. ARK Infraના ડિરેક્ટર અજય સોનીએ જણાવ્યું કે, “આ બિલ્ડિંગ ૫૫૦૦ ચોરસ વારના પ્લોટ પર બાંધવામાં આવશે અને તેનો ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ ૫.૪ હશે. અમે શહેરમાં સૌથી ઉંચી રેસિડેન્શિયલ બિલ્ડિંગનું નિર્માણ કરવાના છીએ જે ૪૨ માળની હશે.
આ વિશે ડિઝાઇનિંગનું કામ હજુ ચાલુ હોવાથી તેમણે વધારે વિગત આપવાનો ઈનકાર કર્યો હતો. માર્કેટના જાણકારોએ કહ્યું કે આવી બિલ્ડિંગ બાંધવામાં ઓછામાં ઓછા ૨૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ બિલ્ડિંગમાં ત્રણ ફ્લોર સુધી ડેડિકેટેડ પાર્કિંગ સ્પેસ હશે અને ૪-૫ BHKના કુલ ૬૫ યુનિટ હશે. અત્યાર સુધીમાં રાજ્યની સૌથી ઉંચી બિલ્ડિંગનું જે આયોજન થયું છે તે કોમર્શિયલ છે અને તેમાં ૪૧ ફ્લોર હશે.
અમદાવાદમાં તાજેતરમાં પ્રીમિયમ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટની માંગમાં જાેરદાર તેજી આવી છે અને આ માટે નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ઊંચી બિલ્ડિંગોમાં લોકોનો રસ વધ્યો છે અને ૩૦ ફ્લોરથી વધારે ઉંચી હોય તેવી લગભગ એક ડઝન બિલ્ડિંગ બાંધવાના પ્લાન ચાલુ છે.
જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન ૨૦૧૭ હેઠળ રાજ્ય સરકારે મુખ્ય શહેરોમાં ઉંચી અને આઈકોનિક બિલ્ડિંગ બાંધવા માટે ખાસ જાેગવાઈ કરી છે. આવી ઉંચી બિલ્ડિંગોને પરમિશન આપવા માટે લોકલ ઓથોરિટીને સલાહ આપવા ઓગસ્ટ ૨૦૨૧માં એક સ્પેશિયલ ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવી હતી.ss1