બોડેલીમાં મરચા પાવડરમાં અખાધ્ય કલરની ભેળસેળ કરતી ફેક્ટરીનો પર્દાફાશ
“અખાધ્ય લાલ કલર ”નો ૨૫ કિલોગ્રામ જથ્થો તથા “Capsicum Oleoresin” નો 9 કિલોગ્રામ જ્થ્થો સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડાયો
“બોડેલી-છોટા ઉદેપુર ખાતે મરચા પાવડરમાં અખાધ્ય કલર અને ઓલીયો રેઝીનની ભેળસેળ કરતી ફેક્ટરીનો પર્દાફાશ કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત.”રાજ્યના કમિશ્નર ડો. એચ. જી કોશિયા
કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
શ્રી કોશિયા એ ઉમેર્યું કે, તાજેતરમાં ગાંધીનગરની ફૂડ ટીમ તથા છોટા ઉદેપુર જિલ્લાની ફૂડ ટીમ દ્વારા હલકી કક્ષાનાં મરચાં પાવડરમાં અખાધ્ય કલર તથા ઓલીયો રેઝીનની થતી ભેળસેળ નું કૌભાંડ પકડી પાડેલ છે. સદર કૌભાંડ આચરનાર વેપારી ખત્રી મયુદ્દીનભાઇ નુરમોહંમદભાઇ ફૂડ સેફ્ટી પરવાનો મેળવ્યા વગર સર્વે નં-૪૩/૨ પૈકી ૧ વાળી જમીનમાંથી ૨૫૦૦ ચોરસ ફૂટમાં તૈયાર કરેલ શેડ (કારખાનું), મુ. જોજવા,
તા: બોડેલી, જી: છોટા ઉદેપુર ની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર મરચાં પાવડરનું ઉત્પાદન થતુ જોવા મળી આવેલ હતુ. આ પેઢી માં સઘન તપાસ હાથ ધરતા મરચા પાવડરમાં અખાધ્ય કલર તથા ઓલીયો રેઝીનની થતી ભેળસેળ થતી હોવાનું પ્રથમિક દ્રષ્ટીએ માલુમ પડેલ હતું. તપાસ દરમિયાન સ્થળ પર “અખાધ્ય લાલ કલર ”નો ૨૫ કિલોગ્રામ જથ્થો તથા “Capsicum Oleoresin” નો ૦૯ કિલોગ્રામ જ્થ્થો સ્થળ પર જ હાજર સ્ટોક માં પકડી પાડેલ છે.
વેપારી ધ્વારા મરચાં પાવડર એક્સ્ટ્રા હોટ તેજા મરચું અને કાશ્મીરી કુમઠી (મોળુ મરચું ) લેબલથી પેક કરતા હતા જેના પર કાયદા મુજબ બેચ નમ્બર, પેકીંગ તારીખ, ઉત્પાદકનું સરનામું કે અન્ય કોઇ માહિતી છાપેલ ન હતી, તથા લૂઝમાં મરચા પાવડરનો જથ્થો માનવ વપરાશ અર્થે તૈયાર કરી સંગ્ર્હ કરેલ હતો, વધુમાં સ્થળ પરથી કાશ્મીરી કુમઠી (મોળુ મરચુ) (પેક)-૦૧, એક્સ્ટ્રા હોટ તેજા મરચું પેક-૦૧,
ખાડેલુ મરચું પાવડર-૦૧, મરચા પાવડર-૦૧, Capsicum Oleoresin 10%os-(Adulterant use in chilli Powder)- 01, અને Red colour(adulterant used in chilli powder)-01 મળીને કુલ–૦૬ કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે જ્યારે બાકીનો આશરે ૪૦૨૭ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૬,૨૦,૦૦૦ /- (અંકે રૂ. છ લાખ વીસ હજાર પુરા) થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે.
આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.