ગળતેશ્વરના ડભાલી અને સનાદરા ખાતે ‘પર્યાવરણને અનુકુળ જીવનશૈલી’ વિષયના અનુસંધાને તાલીમ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) સેવાલિયા, ગુજરાત ઈલોકોજી કમીશન, ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ ગામોમાં પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધનના કામો કરવા માં આવે છે. જે અંતર્ગત ગુજરાત ઇકોલોજી કમીશન, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ, આસુતોષ ફાઉન્ડેશનના સહયોગથી તાજેતરમાં ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકાના ડભાલી અને સનાદરા ગામમાં “ઈકો કોન્સીયસ વે ઓફ લાઈફસ્ટાઈલ” (પર્યાવરણને અનુકુળ જીવનશૈલી) વિષયના અનુસંધાને એક તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો.
જેમાં તાલીમકાર શ્રી જીજ્ઞેશ ભાઈ, હર્ષદભાઈ અને શ્રી રાજેશભાઈ દ્વારા વિષયના અનુસંધાને ગ્રામજનોને પર્યાવરણનું મહત્વ, સુરક્ષા અને સંવર્ધન માટે હવા, જમીન, પાણીનું વધતું જતું પ્રદુષણ અને તેને અટકાવવાના ઉપાયો, ઉર્જા બચત અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, સ્વચ્છતા રાખવી, શૌચાલયનો ઉપયોગ કરવો, પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવો, વૃક્ષારોપણ કરવું તથા તેનું જતન કરવું, કચરાના નિકાલની પદ્ધતિઓ અને સ્વચ્છતા, જળવાયું પરિવર્તન, ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાની જગ્યાએ ઓર્ગેનિક ખેતી અપનાવવી વગેરે વિષય ના અનુસંધાને પ્રોજેક્ટર દ્વારા પ્રસ્તુતિ અને ફિલ્મો થી ઊંડાણપૂર્વક ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
પર્યાવરણને સુરક્ષિત રાખવાના આ જાગૃતિ કાર્યક્રમને ગ્રામજનો દ્વારા ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો. પર્યાવરણ જાગૃતિના આ કાર્યક્રમ માં ગામના તલાટી શ્રી, ગ્રામઆગેવાનો, આંગણવાડી કાર્યકર્તા બહેનો, આશા બહેનો વગેરે દ્વારા સફળ બનાવવામાં ખુબ જ સહયોગ મળ્યો હતો.