પ્રેમપ્રકરણમાં રાજકોટમાં છરીના ઘા મારી યુવકની કરપીણ હત્યા

રાજકોટ, રાજકોટ શહેરમાં પ્રેમ પ્રકરણને કારણે એક યુવાનની કરુણ હત્યા થઈ છે. ગત રાત્રે બાપુનગર વિસ્તારના સ્લમ ક્વાર્ટર્સમાં ત્રણ વ્યક્તિઓએ એક ૨૦ વર્ષીય યુવાન સાથે ઝઘડો કર્યાે અને ત્યારબાદ તેને છરી મારીને મોતને ઘાટ ઉતારી દીધો. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને પકડી પાડ્યા છે, જ્યારે ફરાર મુખ્ય આરોપીને પકડવા માટે તપાસ ચાલુ છે.પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવાનની ઓળખ ઈશાન મુસ્તુફાભાઈ કાસવાણી તરીકે થઈ છે, જે જિલ્લા ગાર્ડન સ્લમ ક્વાર્ટરમાં રહેતો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઈશાનને આરોપી અમન ચૌહાણની પત્ની સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તેના ફોટા પણ ઈશાન પાસે હતા. આ બાબતની જાણ થતાં અમન અને ઈશાન વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં અમનના મિત્રો અફઝલ સિકંદર જુણેજા અને સાહિલ પાતાણી પણ સામેલ થયા હતા અને ત્રણેયે મળીને ઈશાનની હત્યા કરી હતી.
પોલીસે હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરીને બે આરોપીઓ, અફઝલ સિકંદર જુણેજા અને સાહિલ પાતાણીની ધરપકડ કરી છે. ફરાર મુખ્ય આરોપી અમન ચૌહાણને પકડવા માટે પોલીસની ટીમો તપાસ કરી રહી છે.
મૃતક ઈશાન બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો અને બાપુનગર મેઈન રોડ પર બટેટાની લારી પર કામ કરતો હતો. આ ઘટનાથી મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને તેઓ આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે.SS1MS