નવહતી મેળામાં આદીવાસી સમાજે અસ્થી વિસર્જન કરી પરંપરા નિભાવી

અંબાજી થી સાત કિલોમીટર દૂર આવેલા કોટેશ્વર ખાતે પાછલા હજારો વર્ષોથી આદિવાસી સમાજ ફાગણ વદ તેરસના દિવસે સરસ્વતી નદીના તટ ઉપર યોજાતો નવહતીનો મેળો
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) આપણા દેશમાં અલગ અલગ પ્રકારના મેળાઓ યોજાતા હોય છે પરંતુ અમુક મેળા ખાસ વિશેષતા ધરાવતા હોય છે, વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી થી સાત કિલોમીટર દૂર આવેલા કોટેશ્વર ખાતે પાછલા હજારો વર્ષોથી આદિવાસી સમાજ ફાગણ વદ તેરસના દિવસે વહેલી સવારથી જ સરસ્વતી નદીના તટ ઉપર નવહતીનો મેળો યોજાતો હોય છે.
આ મેળો પહેલા રાત્રિના સમયમાં યોજાતો હતો પરંતુ છેલ્લા ૧૫ વર્ષથી ગરાસિયા સમાજના આગેવાનો દ્વારા રાત્રી મેળો બંધ કરવામાં આવેલ છે.અમીરગઢ,દાંતા અને રાજસ્થાન સહિતના મોટી સંખ્યાના આદિવાસી સમાજના લોકો વર્ષ દરમિયાન પોતાના ઘરે જે પણ સ્વજનના મૃત્યુ થાય તેના અગ્નિ સંસ્કાર કર્યા બાદ તેના અસ્થિ ઘરની બહાર માટીની નાની કુલડીમા મૂકી દે છે અને જ્યારે નવહતીનો મેળો આવે ત્યારે એક દિવસ અગાઉ પરિવારના સભ્યો સ્વજનના અસ્થિ જમીનથી બહાર કાઢીને કોટેશ્વર ખાતે લાવવામાં આવે છે.
કોટેશ્વર ખાતે પરિવારના અને કુટુંબના લોકો મોટી સંખ્યામાં આવે છે અને પરિવારના લોકો સ્વજનના અસ્થિને હાથમાં લઈને તેને ખૂબ યાદ કરે છે,રડે છે અને ત્યારબાદ સરસ્વતી નદીના કુંડમાં અસ્થિનુ વિસર્જન કરવામાં આવે છે અને ત્યારબાદ પરિવારના સભ્યોનો શોક કુટુંબના લોકો દૂર કરે છે. અસ્થિ વિસર્જન કર્યા બાદ પરિવારના લોકો ઘરેથી લોટ તેલ સીધું સામાન લાવીને કોટેશ્વર મહાદેવના દર્શન કરીને દાન કરતા હોય છે.
ઘણા લોકો ઘરેથી મીઠાઈ લઈને આવતા હોય છે અને બધાને પ્રસાદ આપતા હોય છે. સરસ્વતી નદીના કુંડમાં અસ્થિ વિસર્જન કરવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે અને તેનો નવો જન્મ પણ સારી જગ્યાએ થાય છે તેવી માન્યતા છે. આ મેળો શોક નો મેળો તરીકે ઓળખાય છે. સરસ્વતી કુંડમાં અસ્થિ વિસર્જન કર્યા બાદ મહાદેવ ઉપર જળ અર્પણ કરે છે અને ત્યારબાદ તમામ લોકો કોટેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાનાં ઘરે પરત જાય છે.