આંગણવાડીના ભૂલકાઓ સાથે પુનિતવન ખાતે વૃક્ષારોપણ કર્યું ભાનુબેન બાબરીયાએ

પ્રકૃતિનું સંવર્ધન અને જતન કરવું તે આ સમયની તાતી જરૂરીયાત: મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા ગુજરાતને પ્લાસ્ટિક મુકત બનાવી, ગ્રીન કવરેજ વધારવા અપીલ કરતાં મંત્રીશ્રી
“હરિયાળી વાવો, સમૃધ્ધિ પામો, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવોના” સંકલ્પ સાથે ૫ જુને સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં આવેલા પુનિતવનમાં આંગણવાડીના ભૂલકાઓ સાથે વૃક્ષારોપણ કર્યું હતું.
ગાંધીનગરની બોરીજની ત્રણ આંગણવાડી કેન્દ્રોના ૯૨ બાળકો અને વાલીઓ સાથે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત શૌર્ય અને ઔષધીઓથી ભરપુર સિંદુરના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દરેક નાગરીકે પ્રકૃતિનું સંવર્ધન અને જતન કરવું જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજિંદા જીવનમાં પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા ‘મિશન લાઈફ’ની પ્રેરણા આપી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ગત વર્ષે પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને દરેક નાગરીકને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવા માટેનું આહવાન કર્યું હતું. એ આહ્વાન આગળ ધપાવતાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ‘એક પેડ માં કે નામ ૨.૦’ને શરૂ કરાવી, “પ્લાસ્ટિક મુકત બનવવા, ગ્રીન કવરેજ વધારવા”ની પહેલ સાથે પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. આ પહેલ તમામ બાળકોથી માંડી યુવાનો અને પ્રજાજનો અપનાવે તેવો મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ફોરેસ્ટ ઓફિસરે બાળકોને વૃક્ષોના મહત્વ અને પર્યાવરણની જાળવણી અંગે સમજણ આપી હતી. મંત્રીશ્રીએ બાળકો સાથે રમતો રમી કેળાં, કેરી, લીંબુ શરબત અને પોષ્ટીક નાસ્તા સાથે વન ભોજન કર્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાના આઇ.સી.ડી.એસ. વિભાગ અને ફોરેસ્ટ વિભાગ પુનિતવન ખાતેના અધિકારી, કર્મચારી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.