AAPના ગોપાલ ઇટાલિયાની જૂના કેસમાં ધરપકડ બાદ જામીન પર છુટકારો
(એજન્સી)અમદાવાદ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની એક જુના કેસમાં ભાવનગરમાં ધરપકડ કરવામાં આવી હતી. ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં ગોપાલ ઇટાલીયા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આઈપીસી ૨૯૫ અંતર્ગત નોંધાયેલા આ કેસમાં ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરવામાં આવી હતી,
જાે કે બાદમાં જામીન પર છોડી મુકવામાં આવ્યાં હતા. બહાર આવ્યા બાદ ગોપાલ ઈટાલીયાએ સોશિયલ મીડિયા પર ભાજપ સરકાર પર બળાપો કાઢ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજે ટિ્વટ કરીને તેમની ધરપકડ થઈ હોવાનું જણાવ્યું હતું, ભાવનગર પોલીસે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી છે.
બે માસ અગાઉ દ્વારકામાં ભાષણમાં કૃષ્ણ ભગવાન વિશે ટીપ્પણી પર ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જામીન પર ગોપાલ ઈટાલિયાને મુક્ત કર્યા હતા. ગોપાલ ઈટાલિયાએ ટિ્વટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ ભાજપને પૂર્ણ બહુમત આપતાં જ નવી સરકારે કામ કરવાનું ચાલુ કરી દીધું છે.
ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. ગઈકાલે મારી દાદીમાનું નિધન થયું છે, મારો સમગ્ર પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મને એરેસ્ટ કરી લીધો છે. કદાચ આ જ કામ માટે ભાજપને બહુ મત મળ્યો હશે.