ABP અસ્મિતા સન્માન પુરસ્કાર સમારોહ યોજાયો
એબીપી અસ્મિતા સન્માન પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બની, આત્મનિર્ભર ગુજરાતનો સંકલ્પ સાકાર કરીએ – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદમાં એબીપી અસ્મિતા દ્વારા આયોજિત એબીપી અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બની આત્મનિર્ભર ગુજરાતનો સંકલ્પ સાકાર કરીએ.
મુખ્યમંત્રીશ્રીએ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, આપણે સૌ ગુજરાત રાજ્ય માટે સર્વોત્તમ કામગીરી કરવા કટિબદ્ધ બનીએ.
શ્રી ભૂપેન્દ્રભાઈએ એબીપી અસ્મિતાને અભિનંદન આપતા કહ્યું કે, આજે ન્યૂઝ ચેનલમાં બ્રેકિંગ ન્યૂઝની હરિફાઈ ચાલી રહી છે ત્યારે તેમાંથી સમય કાઢીને ગુજરાતના ગૌરવ સમાન તારલાઓનું સન્માન કરી એબીપી અસ્મિતાએ નવો ચીલો ચાતર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી નરેન્દ્રભાઈ ચૌહાણના પ્રાકૃતિક કૃષિના પ્રયોગોની પ્રસંશા કરતા કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી માટે આહ લેક જગાડી છે, નવી ચેતના ઉભી કરી છે અને પરિણામ સ્વરૂપે આજે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, રસાયણમુક્ત ખેતી દ્વારા આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીશું. તેમણે ઉપસ્થિત શ્રોતાઓને સાહિત્ય, ખેલ, ઉદ્યોગ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાંથી કંઈક નવુ શીખવાનો અને ઉત્તમ સર્જન કરવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે વિવિધ ક્ષેત્રના નવરત્નોનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું હતું.