લાંભા, વટવા, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી સહિતના વિસ્તારમાં કોલેરાનો કહેર

ચાલુ મહિનામાં કોલેરાના નવા ૧૩ કેસ કન્ફર્મ થયા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ મચ્છરજન્ય રોગચાળો વકરી રહયો છે. જયારે ર૦ર૪ની માફક ર૦રપમાં પણ કોલેરાએ કાળો કહેર વર્તાવ્યો છે. કોલેરાના દર્દીઓમાં મોટાભાગે બાળકોનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષ દરમિયાન કોલેરાના ૩૯ કેસ નોંધાયા છે. ચાલુ મહિનામાં કોલેરાના સંકજામાં ૬ બાળકો આવ્યા છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સપ્લાય થતાં પાણીમાં પ્રદુષણ હોવાના કારણે તેમજ હેલ્થ ફુડ વિભાગની નિષ્ક્રિયતાના પરિણામે બેરોકટોક વેચાણ થતા અનસેફ આહારોના લીધે કોલેરાનો રોગચાળો વકરી રહયો છે. ર૦ર૪માં કોલેરાના ર૦પ કેસ નોંધાયા હતા.
જેની સામે ચાલુ વર્ષે ૧૭મે સુધી ૩૯ કેસ કન્ફર્મ થયા છે. કોલેરાના મોટાભાગના કેસ પૂર્વ પટ્ટામાં એટલે કે દાણીલીમડા, બહેરામપુરા, લાંભા, વટવા, સરસપુર, અમરાઈવાડી વગેરે વિસ્તારમાં નોંધાયા છે. કોલેરાના રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તંત્ર દ્વારા જે પણ પગલાં લેવામાં આવ્યા છે તે તમામ નિષ્ફળ સાબિત થયા હોય તેમ લાગે છે.
બે વર્ષ અગાઉ તત્કાલિન કમિશનર એમ. થેન્નારસને પાણીજન્ય રોગચાળા માટે ખાસ માર્ગદર્શિકા પણ તૈયાર કરાવી હતી પરંતુ પુનઃ અમલ થયો ન હોવાથી કોલેરા જેવા જીવલેણ રોગના કેસ વધી રહયા છે. શહેરમાં કોલેરા ઉપરાંત ચાલુ વર્ષે ઝાડા-ઉલ્ટીના ર૮ર૪, કમળો-૮પ૪, ટાઈફોઈડ- ૧૪૬૯ કેસ કન્ફર્મ થયા છે.
અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ મચ્છરજન્ય રોગચાળો વધી રહયો છે. મે મહિનામાં મેલેરિયાના ૩૪ અને ડેન્ગ્યુના ૧૬ કેસ કન્ફર્મ થયા છે. ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગયુના ૧૩ર કેસ નોંધાયા છે. શહેરના લાંભા વિસ્તારમાં ડેન્ગયુના ૧૩ અને ગોમતીપુરમાં ૧૮ કેસ નોંધાયા છે. ઝોન મુજબ જોવા જઈએ તો મધ્યઝોનમાં -પ, પશ્ચિમ-૦ર, ઉત્તર- રર, પૂર્વ ઝોન-પ૧, દક્ષિણ ઝોન-૪૧, ઉ.પ.ઝોન-૦૬, દ.પ.માં -૦પ કેસ કન્ફર્મ થયા છે.