Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેન્ગ્યૂ મેલેરિયા વિરોધી મેગા ડ્રાઇવ હાથ ધરાઈ

અમદાવાદ જિલ્લામાં કુલ 1958 સ્થાનો પર તપાસ કરતાં 17 પાત્રોમાં પોરા જોવા મળ્યા અને 302 વ્યક્તિઓ/દુકાનોને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની મેલેરિયા શાખાના સંકલનમાં રહી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ દ્વારા ટાયર પંચરની દુકાન, ભંગારની દુકાન, આંગણવાડી કેન્દ્રો, સરકારી- ખાનગી શાળાઓ, ગ્રામ પંચાયત, એસટી ડેપો, ધાર્મિક  સ્થળો સહિતના સ્થાનો પર ડેન્ગ્યૂ મેલેરિયા વિરોધી મેગા ડ્રાઈવ અંતર્ગત  કામગીરી કરવામાં આવી હતી. કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવી અને મચ્છરના બ્રિડિંગ મળ્યા તેનો કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ જિલ્લામાં કુલ 1958 સ્થાનો પર તપાસ કરતાં 17 પાત્રોમાં પોરા મળ્યા અને 302 વ્યક્તિઓ/દુકાનોને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેશ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ (એન.સી.વી.બી.ડી.સી) અંતર્ગત કામગીરી સઘન કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે સફળતા મળી છે. જોકે હાલનું વાતાવરણ મચ્છરોની ઉત્પતિને અટકાવવા માટે પોરાનાશક કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. ઊલ્ટી ઊબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિઃશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ.

મેલેરિયાથી બચવા માટે પાણીનાં ખુલ્લાં વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કૂલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પૂરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરિયા હોઈ શકે છે.

મેલેરિયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરિયા થતો રોકી શકાશે, તેમ અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.