અમદાવાદ જિલ્લામાં વર્ષાઋતુ પહેલા જળ સંચયની આગોતરી કામગીરી

૪૩ તળાવ ઊંડા કરવામાં આવ્યા – બે લાખ રોપાનું વાવેતર – બે વર્ષમાં ૪૫ લાખ ઘન મીટર જળસંગ્રહ શક્તિ વધી
સુજલામ સુફલામ જળસંચય અભિયાન “કેચ ધ રેઇન – ૨.૦” : વિવિધ વિભાગો દ્વારા જળ સંચયના ૩૯૮ કાર્યો સંપન્ન – પાણી પહેલા પાળ બાંધવા જેવું ઉમદા કાર્ય કરતું જિલ્લા પ્રશાસન
અમદાવાદ જિલ્લામાં વર્ષાઋતુ પહેલા જળ સંચયની આગોતરી કામગીરી સુપેરે પાર પાડવામાં આવી છે.
સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ગત બે વર્ષમાં કુલ ૧૨૫ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. જેના થકી આ તળાવોની સંગ્રહ શક્તિમાં કુલ આશરે ૪૫ લાખ ઘન મીટરનો વધારો થયો છે. જયારે ચાલુ વર્ષ દરમિયાન કુલ ૪૩ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લામાં ભૂગર્ભજળ ઊંચા આવે તે હેતુથી કેચ ધ રેન મુહિમ અંતર્ગત જિલ્લાના વોટરશેડ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૫૦ લાખના ખર્ચે કુલ ૪૪ વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવવામાં આવ્યા છે. તેમજ ચાલુ વર્ષ ૨૦૨૫ દરમિયાન જિલ્લા પંચાયતના સિચાઈ વિભાગ દ્વારા આશરે ૨૨૪ રિચાર્જ વેલ બનાવવાનું આયોજન છે. આ વર્ષ દરમિયાન વન વિભાગ દ્વારા આશરે બે લાખ જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૫ અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા ૧૦૧ કાર્યો કરવામાં આવ્યા છે, જ્યારે ગ્રામ વિકાસ વિભાગે ૩૭ કાર્યો કર્યા છે. વોટર શેડ એજન્સીએ ૧૪ કાર્યો, વન અને પર્યાવરણ વિભાગે ૧ કાર્ય, તથા પંચાયત અને ગ્રામીણ આવાસ વિભાગ દ્વારા ૪૬ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વિવિધ નગરપાલિકાઓએ પણ ૪૬ કાર્યો કર્યા છે અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ૧૫૩ કાર્યો કરવામાં આવ્યા છે. આમ, આ અભિયાન હેઠળ કુલ ૩૯૮ કાર્યો સંપન્ન થયા છે.
અમદાવાદ જિલ્લામાં નળકાંઠાનો વિસ્તાર તથા ભાલ પ્રદેશ એ મુખ્યત્વે ખેતી પર આધારીત વિસ્તારો છે. જિલ્લામાં સિચાઈ માટે ખેડૂતો સપાટી જળ પર જ નિર્ભર છે. અમદાવાદ જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તરો ખૂબ નીચા છે, આમ આ જિલ્લામાં ભૂગર્ભજળ ઊંચા લાવવા તથા જળસંગ્રહ કરવો અગત્યનું છે.
વધારાના વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા તળાવ ઊંડા કરવા અને ભૂગર્ભજળ ઊંચા લાવવા રિચાર્જ વેલ બનાવવા સહિતના જળ સંચયના કામો માટે રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંચય અભિયાન તેમજ “કેચ ધ રેઇન – ૨.૦” હાથ ધરવામાં આવે છે.
ચેકડેમોનું બાંધકામ, સુજલામ સુફલામ નહેરોનું બાંધકામ, વિવિધ ગામોમાં તળાવ ઊંડા કરવાની કામગીરી તથા વૃક્ષારોપણ જેવા કામોને પ્રાધાન્ય આપવામાં આવે છે જેની સકારાત્મક અસરો પણ જોવા મળી છે.
આમ જળ સંચય માટેની આગોતરી અને સમયબદ્ધ કામગીરી કરીને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પાણી પહેલાં પાળ બાંધવા જેવું ઉમદા કાર્ય કર્યું છે.