Western Times News

Gujarati News

ચેકમાં રકમ અલગ કલરની પેનથી લખી અને સહી અલગ કલરની પેનથી કરી વેપારી સાથે છેતરપિંડી

અમદાવાદના વેપારી સાથે ઈરાનના સફરજન વેચવાની લાલચ આપી ૧૫.૭૦ લાખની છેતરપિંડી-ખોખરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી

(એજન્સી)અમદાવાદ અમદાવાદના ખોખરા વિસ્તારમાં ફળના વેપારી સાથે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઈરાનના સફરજન લાવીને વેચવાની લાલચ આપીને વેપારી પાસેથી ૧૫.૭૦ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. જેથી સમગ્ર મામલે ફળના વેપારીએ આરોપીઓની સામે ફરિયાદ નોંધાવી છે.

શહેરના ખોખરાના ફ્રૂટના હોલસેલ વેપારીને ઈરાની સફરજનના બે કન્ટેનર મંગાવી આપવાનું કહીને મુંબઈના ગઠિયા સહિત બે લોકોએ કુલ રૂ. ૧૫.૭૦ લાખ પડાવી લીધા હતા. જ્યારે લાંબા સમય સુધી કન્ટેનર ન આવતા પૂછતાં ગલ્લાતલ્લા કરતા હતા અને બિલ માંગતાં વાયદા કરતા હતા. જેથી વેપારીએ રૂપિયા પરત માંગતા આપ્યા ન હતા. કંટાળીને વેપારીએ બંને શખ્સો સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ખોખરામાં રહેતા વિપુલ અગ્રવાલ (૪૧) અનુપમ સિનેમા પાસે ફ્રૂટ સેન્ટર નામની પેઢી ધરાવીને વેપાર કરે છે. વર્ષ ૨૦૨૪માં માણેકચોકમાં ફ્રૂટનો ધંધો કરતા વેપારીએ વિપુલ અગ્રવાલને ઈરાનથી સફરજન લાવીને વેચવામાં ઘણો નફો મળશે તેવી લોભામણી લાલચ આપીને મૂળ મુંબઈના રહેવાસી મજહરખાન પઠાણ સાથે મુલાકાત કરાવી હતી. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં મજહરખાન વિપુલ અગ્રવાલને મળવા અમદાવાદ આવ્યો હતો. ઈરાનથી સફરજન કેવી રીતે મંગાવવા અને કેવી રીતે વેચવા તેની પદ્ધતિ સમજાવી હતી.

મજહરખાન અને માણેકચોકના વેપારી અશોકભાઈએ વિપુલ અગ્રવાલને વિશ્વાસ અપાવ્યો અને ૨૨.૯૫ લાખમાં ઈરાનથી બે કન્ટેનર ભરીને સફરજન મુંબઈ પોર્ટ મંગાવીશું અને ત્યારબાદ ટ્રક મારફતે અમદાવાદ લાવી દઈશું તેવી મોટી મોટી વાત કરીને ટોકન રકમ પેટે રૂ. ૫ લાખ માંગતા વેપારીએ મજહરખાનના એકાઉન્ટમાં રૂપિયા આપ્યા હતા.

ત્યારબાદ થોડા દિવસો બાદ ઠગ મજહરખાને બાકીના ૧૭.૯૫ લાખ માંગ્યા ત્યારે વેપારીએ રૂપિયા આ પ્રકારે નહીં આપું તેમ જણાવતા અશોકભાઈ વચ્ચે પડ્‌યા અને રૂપિયા ડૂબી નહીં જાય તેવો વિશ્વાસ વિપુલ અગ્રવાલને અપાવ્યો હતો. અંતે વેપારી વિપુલ અગ્રવાલે મજહરખાનની સાસરી સરખેજમાં જઈને રોકડા ૧૭.૯૫ લાખ રૂપિયા અને ઓરિજિનલ પાસપોર્ટ ઈરાનના વિઝા કરાવવા માટે આપ્યો હતો.

બાદમાં વાયદા મુજબના દિવસે કન્ટેનર નહીં આવતા વિપુલ અગ્રવાલે મજહરખાનને ફોન કરતા ઈરાનમાં કન્ટેનર અટવાયું છે કહીને બહાના આપવાના શરૂ કર્યા હતા. અંતે વિપુલ અગ્રવાલે મુંબઈ જઈને મજહરખાન પાસે રૂપિયા માંગતા એકાઉન્ટમાં રૂ. ૫ લાખ પાછા આપી દીધા હતા અને બાકીના રૂપિયાનો ચેક લખીને આપ્યો હતો.

જોકે ચેકમાં રકમ અલગ કલરની પેનથી લખ્યો હતો અને સિગ્નેચર અલગ કલરની પેનથી લખ્યો હતો. તે ચેક બેંકમાં જમા થયો ન હતો. બાદમાં આ મામલે વિપુલ અગ્રવાલે અશોકભાઈને વાત કરતા બીજા રૂ. ૨.૨૫ લાખ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બાકી નીકળતા રૂ. ૧૫.૭૦ લાખ માંગતા મજહરખાન પઠાણ અને અશોકભાઈ ગલ્લાતલ્લા કરવા લાગ્યા અને વિપુલ અગ્રવાલનો ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આખરે વેપારીએ આ મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં રૂ. ૧૫.૭૦ લાખની ઠગાઈનો ભોગ બન્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે અશોક મારવાડી અને મજહરખાન પઠાણ સામે ગુનો નોંધ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.