તારાપુર ખાતે રૂા. ૭.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ કોર્ટ ભવન ખુલ્લું મુકાયું
આણંદ, તારાપુર ખાતે રૂા. ૭.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ કોર્ટ ભવન ખુલ્લું મુકાયું હતું તેમજ આણંદ જિલ્લાના આંકલાવ ખાતે રૃ. ૭.૮૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સુવિધાસભર ન્યાયમંદિરને ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીએ જણાવ્યું હતું કે, શ્વેતક્રાંતિનું જનક એવું આણંદ, અનેક નામી-અનામી મહાત્માઓની કર્મભૂમિ રહ્યું છે. આવા ઐતિહાસિક આણંદના આંકલાવ તાલુકા મથક ખાતે આજે નવીન કોર્ટ ભવનને ખુલ્લું મુકતા હું ગર્વની લાગણી અનુભવું છું.
આંકલાવ તાલુકાને નવીન કોર્ટ ભવન મળતા ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે લોકોને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. તેમણે લોકોને ઝડપી ન્યાય અપાવવામાં વકીલો અને ન્યાયાધિશઓની ભૂમિકા મહત્વની હોવાનું વધુમાં જણાવ્યું હતું.
કાર્યક્રમ બાદ ન્યાયમૂર્તિ બી. એ. વૈષ્ણવ અને આર.એમ. સરીને ન્યાયમંદિરના દરેક રૃમની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે તેમની સાથે આણંદ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વી. બી. ગોહિલ, જિલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવી, આંકલાવ કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજ ડી.પી. પૂંજાણી તથા જિલ્લાની તમામ કોર્ટના જજો, સરકારી વકીલો તેમજ બાર એસોસિએશનના હોદ્દેદારો પણ જોડાયા હતા.