અંકલેશ્વરના પિરામણ નજીક રેલ્વેનો પાવર સપ્લાય અટકી જતા રેલ વ્યવહાર ખોરવાયો
અજમેરથી બાંદ્રા જતી ટ્રેન બ્રિજ ઉપર જ અટકી ગઈ ઃ નોકરિયાત,વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત હજારો મુસાફરો પ્રભાવિત
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ ૨૫,૦૦૦ વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઈનો ટ્રેન વ્યવહાર બે થી ત્રણ કલાકથી ઠપ થઈ ગયો છે.પિરામણ બ્રિજ ઉપર જ પાવર સપ્લાય બંધ થતાં અજમેરથી બાંદ્રા જતી સુપરફાસ્ટ ટ્રેન અટકી પડી હતી.
શુક્રવારે સવારે અંકલેશ્વર અને પાનોલી રેલવે સ્ટેશન વચ્ચે કિલોમીટર નંબર ૩૧૪/૨૫ પાસે રેલવેનો ૨૫,૦૦૦ વોટ ઓવરહેડ કેબલ તૂટી પડ્યો હતો.
અમદાવાદ અને મુંબઈની મુખ્ય અપ લાઈનનો ઇલેક્ટ્રિક સપ્લાય સવારે ૯ઃ૧૫ કલાકથી ઠપ થતા ટ્રેન વ્યવહાર અટકી ગયો હતો.ઘટનાની જાણ અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા રેલ્વે ડિવિઝનમાં કરવામાં આવતા દોડધામ મચી ગ હતી.અજમેર થી બાંદ્રા જતી સુપરફાસ્ટ ટ્રેન અંકલેશ્વરના પીરામણ ગરનાળાના બ્રિજ ઉપર જ અટકી ગઈ હતી.જ્યારે અન્ય ટ્રેનોમાં વડોદરાથી મુંબઈ તરફ જતી ગુજરાત એક્સપ્રેસ, સયાજી નગરી, દિલ્હી-બાંદ્રા, પશ્ચિમ એક્સપ્રેસ જેટલી ૫ ટ્રેનો આ લખાય છે ત્યાં સુધી પ્રભાવીત થઈ હતી.
ઓવરહેડ ઈકવપમેન્ટ વાન રેલ્વે એ સ્ટાફ સાથે સ્થળ ઉપર મોકલી તૂટી ગયેલા ૨૫,૦૦૦ વોલ્ટના કેબલને દુરસ્ત કરવાની કામગીરી હાથધરી હતી.ઘટનાને પગલે રેલવે તંત્રે વડોદરા-સુરત મેમુ અને ભરૂચ – સુરત મેમુ ટ્રેન રદ કરી દીધી છે.
તૂટી ગયેલો કેબલ દુરસ્ત નહિ
થતા અમદાવાદ – મુંબઈનો ટ્રેન વ્યવહાર ભરૂચ – અંકલેશ્વર વચ્ચે ઠપ છે.પાંચ ટ્રેનો વિલંબિત થવા સાથે ૨ મેમુ રદ્દ કરવામાં આવતા નોકરિયાત,પાસ હોલ્ડરો,વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત હજારો મુસાફરો અટવાઈ ગયા છે.જેમને હવે પોતાના સ્થળે કે ફરજે સમયસર પહોંચવા અન્ય વાહનો કે હાઈવેની વાટ પકડવાનો વારો આવ્યો હતો.