બેંકો સબસીડી યોજનાને સફળ બનાવવા પ્રયત્ન ન કરતી હોવાની RBIમાં ફરિયાદ

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરને ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કરાઈ રજુઆત
મોરબી, સરકાર દ્વારા મકાન ખરીદી પર સબસિડી આપવામાં આવી રહી છે પરંતુ આ સબસિડીની યોજનાને સફળ બનાવવા માટે બેંકો અને ફાયનાન્સ કંપનીઓ કોઈ પ્રયત્ન ન કરતી હોવાની ફરિયાદ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરને કરવામાં આવી છે.
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જયણાવાયું છે કે, કોઈપણ વ્યક્તિ મકાન ખરીદે તો તેને સરકાર દ્વારા ૨.૬૭ લાખની સબસિડી આપવામાં આવી રહી છે. સબસિડીની તમામ કાર્યવાહી જે બેંકમાંથી લોન લીધી હોય તે બેંક કે ફાયનાન્સ કંપનીઓએ કરવાની હોય છે
પરંતુ બે-ત્રણ વર્ષ વીતી જવા છતાં બેંકો કે ફાયનાન્સ કંપની દ્વારા સબસિડી માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મકાન ધારકને ધક્કા ખવડાવવામાં આવે છે અને સબસિડીની કાર્યવાહી ચાલુ હોવાની વાતો કરવામાં આવે છે જ્યારે મકાન ધારક તપાસ કરે ત્યારે જાણ થાય છે કે લોન આપનાર સંસ્થા કે બેંકે સબસીડી માટે કોઈ કાર્યવાહી જ નથી કરી.
જેથી ના છૂટકે મકાન ધારકને ગ્રાહક અદાલતમાં જવાની ફરજ પડે છે. તો આવી બેંકો અને ફાયનાન્સ કંપનીઓ સામે પગલાં ભરવામાં આવે અને મકાન ધારકને સબસિડી મળી રહે તેવી કાર્યવાહી કરવા આરબીઆઈ સમક્ષ માગ કરાઈ છે.