BAPS તરફથી રૂ. 2.11 કરોડ રામ જન્મભૂમિના કોષાધ્યક્ષને અર્પણ કરાયા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની શ્રીરામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સદગુરુ સંત ઈશ્વરચરણ સ્વામીએ રૂ. ૨,૧૧,૧૧,૧૧૧ નિધિ, રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના કોષાધ્યક્ષ શ્રી ગોવિંદદેવગીરી મહારાજને અર્પણ કરી હતી.
નાત-જાતથી ઉપર ઉઠી સર્વજન કલ્યાણની ભાવના સુદ્રઢ થાય, સત્ય અને નિષ્ઠાનું-રામ રાજ્યનું સ્થાપન થાય તે રામમંદિર નિર્માણનો હેતુ છે – મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
રામ મંદિરની પ્રથમ આધાર શીલાનું પૂજન ૩૧ વર્ષ પહેલાં શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા થયું હતું તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, રામમંદિર નિર્માણ માટેની યાત્રા સોમનાથ- ગુજરાતથી નીકળી અયોધ્યા પહોંચી હતી એ સમયે રામ મંદિરની પ્રથમ આધાર શીલાનું પૂજન ૩૧ વર્ષ પહેલાં શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા થયું હતું તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.
અમદાવાદના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં ઉદબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિશ્વભરમાં વૈદિક સ્થાપત્યકલા અનુસાર બેનમુન મંદિરોનું નિર્માણ કરનાર બી.એ.પી.એસ. સંસ્થાનો અનુભવ અને સહકાર ભવ્ય રામ મંદિરના નિર્માણમાં મળી રહ્યો છે તે આનંદની વાત છે. રામ મંદિર નિર્માણ સમિતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા પણ સામેલ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રામ જન્મભૂમિ મંદિર આંદોલનથી લઈ રામમંદિર નિર્માણ કાર્ય સુધી પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજનો સહકાર તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો-હરિભક્તોનો ભક્તિભાવ ઈતિહાસમાં અમર રહેશે.
વિશ્વભરમાં વૈદિક સ્થાપત્યકલા અનુસાર બેનમુન મંદિરોનું નિર્માણ કરનાર BAPS સંસ્થાનો સહકાર ભવ્ય રામમંદિરના નિર્માણમાં મળી રહ્યો છે
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રામ મંદિર નિર્માણ માટે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પબળ અને પુરુષાર્થ થકી રામમંદિર નિર્માણના દરવાજા ખુલ્યા છે ત્યારે રામમંદિર રાષ્ટ્રીય મંદિર બની રહેશે. રામ મંદિર થકી નાત-જાતથી ઉપર ઉઠી સર્વજન કલ્યાણની ભાવના સુદ્રઢ થાય, સત્ય અને નિષ્ઠાનું-રામ રાજ્યનું સ્થાપન થાય તે મંદિર નિર્માણનો હેતુ છે,તેમ તેમને ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, બહુ જલદી રામલલ્લાનું નીજમંદિરમાં અધિષ્ઠાન થશે અને આપણે સૌ તેના સાક્ષી બનીશું. ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઈતિહાસને ઉજાગર કરતું ભવ્ય રામ મંદિર સૌ કોઈના સહકારથી નિર્માણ પામશે.
આ પ્રસંગે બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારીદાસજી, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી દિલીપભાઇ ત્રિવેદી, રામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ સમિતિના પ્રાંત અધ્યક્ષ શ્રી ગોવિદભાઈ ધોળકિયા તથા ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.